ભુજમાં કોંગ્રેસને મોટો ઝટકો: મહિલા નેતા માનસી શાહ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
કચ્છ, 21 એપ્રિલ (હિ.સ.) :કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે થોડો સમય જ બાકી રહ્યો છે ત્યારે રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. તમામ રાજકીય પક્ષો પ્રચાર-પ્રસાર અને સંગઠન મજબૂત બનાવવા માટે પૂરજોશમાં લાગી ગયા છે. આવી સ્થિતિમાં
કેસરિયો ખેસ ધારણ કરતા માનસી શાહ


માનસી શાહ અને સમર્થકો


કચ્છ, 21 એપ્રિલ (હિ.સ.) :કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે થોડો સમય જ બાકી રહ્યો છે ત્યારે રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. તમામ રાજકીય પક્ષો પ્રચાર-પ્રસાર અને સંગઠન મજબૂત બનાવવા માટે પૂરજોશમાં લાગી ગયા છે. આવી સ્થિતિમાં પક્ષપલટાની રાજનીતિ પણ તેજ બની રહી છે, જે ચૂંટણીના સમીકરણોને અસર કરી શકે તેવી સ્થિતિ સર્જી રહી છે.

કચ્છના અબડાસા વિસ્તારમાં પરંપરાગત રીતે કોંગ્રેસનો પ્રભાવ રહ્યો છે, છતાં આ વખતે ભાજપનો પ્રભાવ વધતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભુજ શહેરમાં ભાજપ તરફ મતદારોનો ઝુકાવ પહેલેથી જ નોંધપાત્ર રહ્યો છે, અને તાજેતરની રાજકીય ઘટનાઓએ આ પરિસ્થિતિને વધુ મજબૂત બનાવવાની સંભાવના ઉભી કરી છે.

ગઈકાલે રાત્રે ૮ વાગ્યે ભુજના જુબેલી ગ્રામ સામે આવેલા વોર્ડ નંબર 9 ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના જાણીતા મહિલા નેતા માનસી શાહે પોતાના સમર્થકો સાથે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં સત્તાવાર રીતે જોડાણ કર્યું હતું. ભાજપના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ અન્ય અગ્રણીઓની હાજરીમાં તેમણે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. માનસી શાહ સાથે આશરે 50થી 60 જેટલા કાર્યકરો અને સમર્થકો પણ ભાજપમાં જોડાતા ભુજમાં કોંગ્રેસ માટે આ મોટો રાજકીય ફટકો ગણાઈ રહ્યો છે.

રાજકીય વિશ્લેષકોના મતે, ચૂંટણી પહેલા આવા પક્ષપલટા સીધા મતદારોના મનોભાવ પર અસર કરતા હોય છે. ખાસ કરીને જ્યારે કોઈ પ્રભાવશાળી નેતા પોતાના સમર્થકો સાથે પક્ષ બદલે છે ત્યારે તે હરીફ પક્ષ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ સમગ્ર ઘટનાની પૃષ્ઠભૂમિ પણ રસપ્રદ રહી છે. તાજેતર માં નખત્રાણા વિસ્તારમાં કોંગ્રેસની ટિકિટ ફાળવણી અંગે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં પૈસાની માંગણીના આક્ષેપો થયા હતા. આ મામલે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલે તેને માત્ર મજાક ગણાવીને નકારી કાઢ્યો હતો. પરંતુ માનસી શાહે આ મુદ્દાને ગંભીર ગણાવી પક્ષની કાર્યપદ્ધતિ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં ટિકિટોના વેપાર અને સાચા કાર્યકરોને અવગણવાની પ્રથા વધતી જઈ રહી છે, જેના કારણે તેઓમાં નિરાશા ફેલાઈ હતી. આથી તેમણે પહેલા પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું. જો કે, રાજીનામા બાદ કોંગ્રેસ દ્વારા તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આક્ષેપ સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જે મુદ્દે પણ રાજકીય ચર્ચાઓ ઉઠી છે.

માનસી શાહે ભાજપમાં જોડાતા સ્પષ્ટ કર્યું હતું કે તેઓ વિકાસ અને કાર્યકરોને યોગ્ય માન્યતા આપતી રાજનીતિમાં વિશ્વાસ રાખે છે. તેમના નિર્ણયથી ભુજ નગરપાલિકાની આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે ભાજપ માટે આ રાજકીય લાભદાયક બની શકે છે.

આ રીતે, ચૂંટણી પૂર્વે ભુજમાં થયેલો આ મહત્વનો પક્ષપલટો આગામી દિવસોમાં રાજકીય પરિસ્થિતિને વધુ રસપ્રદ બનાવે તેવું જણાઈ રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande