
સુરત, 21 એપ્રિલ (હિ.સ.): સુરત રેલ્વે સ્ટેશન ખાતે ચાલી રહેલા રીડેવલપમેન્ટ અને મેટ્રો પ્રોજેક્ટને કારણે આસપાસના રસ્તાઓ પર ભારે ટ્રાફિક દબાણ સર્જાયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને રાહત આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. SITCO કંપની દ્વારા ચાલી રહેલી કામગીરી દરમિયાન અનેક માર્ગો પર ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા હતા, જેના કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા હતા.
લંબે હનુમાન રોડથી દિલ્હી ગેટ જતાં માર્ગ પર આવેલું ‘સબરસ ગરનાળું’ અગાઉ તમામ વાહનો માટે બંધ કરાયું હતું. તેના કારણે વરાછા તરફથી આવતા વાહનોએ આયુર્વેદિક ગરનાળાનો વિકલ્પ અપનાવવો પડતો, જેના કારણે ત્યાં ભારે ટ્રાફિક જામ સર્જાતો અને મુસાફરોને વિલંબ સહન કરવો પડતો.
હવે ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે સબરસ ગરનાળું ફરીથી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હાલ માટે ફક્ત નાના વાહનોને જ પસાર થવાની મંજૂરી છે. ટુ-વ્હીલર, રિક્ષા અને કાર જેવા વાહનો માટે આ માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે, જેના કારણે વરાછા, સહારા દરવાજા અને સ્ટેશન વિસ્તાર વચ્ચે ટ્રાફિકનો દબાણ ઓછો થશે અને મુસાફરી વધુ સરળ બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે