જેતલસર જંક્શન રેલવે સ્ટેશન ‘અમૃત ભારત સ્ટેશન યોજના’માં સમાવેશ
ભાવનગર, 6 એપ્રિલ (હિ.સ.) : ભારતીય રેલવેના આધુનિકીકરણ તથા યાત્રિયોને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે રેલવે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા જેતલસર જંક્શન રેલવે સ્ટેશનને ‘અમૃત ભારત સ્ટેશન યોજના’માં સામ
જેતલસર જંક્શન રેલવે સ્ટેશન ‘અમૃત ભારત સ્ટેશન યોજના’માં


ભાવનગર, 6 એપ્રિલ (હિ.સ.) : ભારતીય રેલવેના આધુનિકીકરણ તથા યાત્રિયોને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે રેલવે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા જેતલસર જંક્શન રેલવે સ્ટેશનને ‘અમૃત ભારત સ્ટેશન યોજના’માં સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે જેતલસર જંક્શન સ્ટેશનના સર્વાંગી વિકાસ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ સુધારણા દ્વારા સ્ટેશનની મૂળભૂત સુવિધાઓમાં સુધારો થશે અને મુસાફરોને આધુનિક તથા સુધારેલી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત જેતલસર જંક્શનનું પુનર્વિકાસ આધુનિક ધોરણો મુજબ કરવામાં આવશે. પ્રસ્તાવિત કામોમાં આધુનિક મુસાફર પ્રતીક્ષાલય, સ્વચ્છતા સુવિધાઓ, પાર્કિંગ વિસ્તારનો વિસ્તાર, સ્ટેશન બિલ્ડિંગના આગળના ભાગનું સૌંદર્યીકરણ, નવા કવર શેડ, દિવ્યાંગજન માટે અનુકૂળ આધુનિક શૌચાલય બ્લોક, પીવાનું પાણી માટેના બૂથ અને વોટર કૂલર, આધુનિક પ્લેટફોર્મ, સરળ અવરજવર વ્યવસ્થા, ડિજિટલ માહિતી પ્રણાલી, દિવ્યાંગજન અનુકૂળ સુવિધાઓ, પૂરતી અને આધુનિક લાઇટિંગ તથા સ્ટેશન પરિસરની સુંદરતા વધારવાના કામોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે ભાવનગર મંડળમાં ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત અગાઉ લગભગ ₹119 કરોડના ખર્ચે 17 સ્ટેશનો પર વિકાસ કાર્ય પ્રગતિ પર છે, જે લગભગ પૂર્ણતાની નજીક છે. હવે જેતલસર જંક્શનના સમાવેશથી આ યોજનામાં વિકાસ પામનારા સ્ટેશનોની સંખ્યા વધીને 18 થઈ ગઈ છે. જેતલસર સ્ટેશનના પુનર્વિકાસ માટે ₹16.32 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે, જેના કારણે યોજનાનો કુલ ખર્ચ ₹135.32 કરોડ થયો છે.

આ પહેલથી મુસાફરોને સુરક્ષિત, સરળ અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે તેમજ વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસને પણ નવી દિશા મળશે. ભારતીય રેલવે દ્વારા દેશભરના મુખ્ય સ્ટેશનોને આધુનિક રૂપ આપવા માટે ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ એક મહત્વપૂર્ણ અને દુરંદેશી પહેલ છે, જેમાં જેતલસર જંક્શનનો સમાવેશ થવો વિસ્તાર માટે ગૌરવની બાત છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande