
પાટણ, 07 એપ્રિલ (હિ.સ.)પાટણના ખાલકશાપીર રેલ્વે ફાટક પાસે, અંડરબ્રિજના નિર્માણ દરમિયાન સુરક્ષાની ઉણપને કારણે એક મિકેનિક ખાડામાં પડી ગંભીર રીતે ઘાયલ થયા. આ બનાવને લઈને કોન્ટ્રાકટર અને તેમના કર્મચારીઓ વિરુદ્ધ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
ભૈરવનગર સોસાયટીના રહેવાસી અને ઊંઝા એસટી ડેપોમાં મિકેનિકલ તરીકે કામ કરતા દિપનકુમાર રાઠોડ 21 ફેબ્રુઆરી, 2026ની રાત્રે ત્યાંથી પસાર થતા હતા. સ્થળ પર કોઈ બેરિકેડિંગ કે સલામત માર્ગ ન હોવાને કારણે તેઓ અચાનક અંડરગ્રાઉન્ડ ખાડામાં પડી ગયા.
આ અકસ્માતમાં તેમને હાથની આંગળીઓ, જડબા, ખભા અને પગમાં ફ્રેક્ચર સાથે માથામાં ઈજા થઈ. મિત્ર દ્વારા તેમને પહેલા પાટણની જનતા હોસ્પિટલ અને બાદમાં અમદાવાદની કેડી હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં ઓપરેશન બાદ લાંબી સારવારથી તેઓ સાજા થયા.
સ્વસ્થ થયા બાદ દિપનકુમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે બીએનએસ કલમ 125(b) હેઠળ ગુનો દાખલ થયો છે. કેસની વધુ તપાસ એએસઆઈ જીગરકુમાર જોષી દ્વારા હાથ ધરાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ