
જુનાગઢ 06 એપ્રિલ (હિ.સ.) રાજયના ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય / પેટા ચૂટણીઓ યોજાનાર છે. જૂનાગઢ જિલ્લામાં જિલ્લા પંચાયત / તાલુકા પંચાયતો, કેશોદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી, બાંટવા નગરપાલિકા પેટા ચૂટણીઓ મુક્ત, ન્યાયિક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેવા હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ અનીલકુમાર રાણાવસીયા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયિક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા સંપુર્ણપણે જળવાય રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ જાહેર સલામતી જોખમાય નહિ તેવા હેતુસર જૂનાગઢ જિલ્લામાં કેશોદ નગરપાલિકા, બાંટવા નગરપાલિકા વોર્ડ નં.૩ ના મતવિસ્તાર, જૂનાગઢ જિલ્લા પંચાયત તેમજ તમામ તાલુકા પંચાયતોના મતવિસ્તારોમાં તમામ સ્વરક્ષણ તથા પાકરક્ષણના પરવાના ધારકોના હથિયારો ચૂંટણી પ્રક્રિયા પુરી થતા સુધી પોલીસ સ્ટેશનમાં જમાં લેવા જરૂરી જણાય છે.
ચૂંટણી હેઠળના વિસ્તારોમાં સંબંઘિત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાકરક્ષણ તેમજ સ્વરક્ષણના પરવાના તળેના હથિયારો સંબંધકર્તા પરવાનેદાર પાસેથી મેળવી જમા લેવા શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ-રર(૧)(બી) ની જોગવાઈ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ અનીલકુમાર રાણાવસીયા દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
આ હુકમ બેંક કે અન્ય સંસ્થાઓ કે જયાં સિકયુરીટીના પ્રશ્ન હોય તેવા પરવાનેદારને લાગુ પડશે નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ