જામનગરમાં કડિયાકામ કરતાં યુવાનને ચાર વ્યાજખોરો દ્વારા પતાવી દેવાની ધમકી 
જામનગર, 07 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરમાં રહેતાં યુવાનએ 10 થી 30 ટકાના જંગી વ્યાજે રૂા. 41.50 લાખ લીધા હતાં. આ રકમ પેટે યુવાનએ ચાર શખ્સોને વ્યાજ ચૂકવી દીધા છતાં ચાર વ્યાજખોરોએ યુવાન પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ બના
ફરિયાદ


જામનગર, 07 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરમાં રહેતાં યુવાનએ 10 થી 30 ટકાના જંગી વ્યાજે રૂા. 41.50 લાખ લીધા હતાં. આ રકમ પેટે યુવાનએ ચાર શખ્સોને વ્યાજ ચૂકવી દીધા છતાં ચાર વ્યાજખોરોએ યુવાન પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં સાંઢિયા પુલ પાસે ગુણાતિતનગરમાં રહેતા અને કડિયાકામ કરતાં સંજયભાઇ રણમલભાઇ નકુમ (ઉ.વ.27) નામના યુવાનએ દિવ્યરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા પાસેથી 10 થી 30%ના વ્યાજે એક વર્ષ પહેલાં રૂા. 41,50,000ની માતબર રકમ લીધી હતી. આ રકમ પેટે સંજયએ સહીવાળા કોરા ચેક આપ્યા હતા. તેમજ સંજયએ દિવ્યરાજસિંહને 2 લાખ રૂપિયા, મયૂરસિંહને 1,30,000, સહદેવસિંહને 1,60,000 અને કરણસિંહને 7 લાખ રૂપિયા પરત વ્યાજના આપી દીધા હતા. તેમ છતાં ચારેય વ્યાજખોરો દ્વારા સંજયને ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી વ્યાજની રકમ અને સંજયની સહી કરેલા 40 કોરા ચેક બળજબરીપૂર્વક પડાવી લઇ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી પતાવી દેવાની ધમકી આપી હતી. આ વ્યાજખોરો સામે આખરે સંજય દ્વારા સિટી ‘સી’ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. જેના આધારે પીએસઆઇ એન. એમ. ઝાલા તથા સ્ટાફએ ચાર વ્યાજખોરો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande