
હિંમતનગર, 08 એપ્રિલ (હિ.સ.) : રાજ્યમાં ઠેર ઠેર થયેલ મિની વાવાઝોડા' અને વરસાદને કારણે હિમતનગર જિલ્લામાં યાર્ડમાં પડેલો તમાકુનો જથ્થો પલળી જવાથી ભારે નુકસાન થયું છે.
જિલ્લામાં કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાને પગલે ખેતીવાડી અને બજાર વ્યવસ્થા પર માઠી અસર પડી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં અચાનક આવેલા 'મિની વાવાઝોડા' અને વરસાદને કારણે માર્કેટિંગ યાર્ડમાં પડેલો તમાકુનો જથ્થો પલળી જવાથી ભારે નુકસાન થયું છે. આ સ્થિતિને જોતા હિંમતનગર કોટન માર્કેટ યાર્ડ દ્વારા તમાકુની ખરીદી અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
ગઈકાલે ફૂંકાયેલા જોરદાર પવનને કારણે યાર્ડમાં ખુલ્લામાં પડેલો તમાકુનો પાક હવામાં ઉડ્યો હતો, ત્યારબાદ વરસાદ તૂટી પડતા મોટાભાગનો જથ્થો પલળી ગયો હતો. તમાકુ એવો પાક છે જે પલળી ગયા બાદ તેની ગુણવત્તા બગડી જાય છે અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે. ખેડૂતો જે આશાએ માલ વેચવા આવ્યા હતા, તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
હિંમતનગર માર્કેટિંગ યાર્ડ સત્તાધીશોએ તાત્કાલિક અસરથી તમાકુની હરાજી અને ખરીદી બંધ કરી દીધી છે. યાર્ડ દ્વારા ખેડૂતોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી પોતાનો પાક બજારમાં લાવવો નહીં. જો વાતાવરણ ફરીથી બગડશે તો ખેડૂતોનો તૈયાર માલ રસ્તામાં કે યાર્ડમાં પલળી શકે છે, તેથી સાવચેતીના ભાગરૂપે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
હાલ ખેતરોમાં તમાકુની કાપણી અને સુકવણીની સીઝન ચાલી રહી છે, ત્યારે આ કમોસમી આફતે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. વેપારીઓ પણ પલળેલી તમાકુ ખરીદવા તૈયાર નથી.
યાર્ડ દ્વારા જણાવાયું છે કે જ્યારે વાતાવરણ સંપૂર્ણ ચોખ્ખું થશે અને સ્થિતિ કાબૂમાં આવશે, ત્યારે જ ખેડૂતોને જાણ કરવામાં આવશે અને ત્યારબાદ જ ખરીદી પ્રક્રિયા પુનઃ શરૂ કરાશે
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ