
ભાવનગર, 09 એપ્રિલ (હિ.સ.)ભાવનગર શહેરમાં એક દુઃખદ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ શહેરના કરચલીયા પરા વિસ્તારમાં રહેતા મંગળભાઈ બાબુભાઈ મકવાણા પોતાની પત્ની ભારતીબેન સાથે સ્કૂટર પર જઈ રહ્યા હતા. તે દરમિયાન રૂવાપરી રોડ પર આવેલ યોગેશ્વર મંદિર નજીક પહોંચતા અચાનક સ્કૂટર પરથી તેમનો કાબૂ ગુમાઈ ગયો હતો.સ્કૂટર અચાનક સ્લીપ થઈ જતા બંને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં મંગળભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમની પત્ની ભારતીબેનને નાની મોટિ ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં ફરજ પર રહેલા તબીબોએ મંગળભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા, જેનાથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દુઃખદ વાતાવરણ પેદા કર્યું છે. પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા નાગરિકોને વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે.આ ઘટના એકવાર ફરી યાદ અપાવે છે કે માર્ગ સુરક્ષા અને સાવચેતી કેટલી જરૂરી છે, જેથી આવા દુર્ઘટનાઓને અટકાવી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT