
ભાવનગર 9 એપ્રિલ (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા વિત્તીય વર્ષ 2025-26 દરમિયાન આવક અને માલ લોડિંગના ક્ષેત્રમાં પ્રશંસનીય પ્રદર્શન નોંધાયું છે. મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન અને પ્રયત્નોથી કુલ આવકમાં ગયા વર્ષની તુલનામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે, જે મંડળની કાર્યક્ષમ કામગીરી અને ઉત્તમ સંસાધન વ્યવસ્થાપન દર્શાવે છે.
વર્ષ 2025-26માં કુલ આવક ₹1345.63 કરોડ રહી, જે વર્ષ 2024-25ના ₹1249.62 કરોડની તુલનામાં લગભગ 7.7% વધુ છે. યાત્રી આવકમાં ખાસ વધારો નોંધાયો છે અને તે ₹313.39 કરોડ રહી, જે ગયા વર્ષની તુલનામાં 17.9% વધુ છે. માલ આવક ₹975.88 કરોડ રહી, જેમાં 5.1% નો વધારો નોંધાયો છે. તેમજ અન્ય કોચિંગ આવક ₹26.23 કરોડ રહી.
યાત્રિયોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2025-26માં કુલ 24.57 મિલિયન મુસાફરોએ મુસાફરી કરી, જે ગયા વર્ષની તુલનામાં 14.7% વધુ છે.
માલ લોડિંગ ક્ષેત્રમાં પણ મંડળે ઉત્તમ પ્રદર્શન કરતા કુલ 6.135 મિલિયન ટન લોડિંગ હાંસલ કરી, જે ગયા વર્ષની તુલનામાં 5.4% વધુ છે. વિવિધ વસ્તુઓના લોડિંગમાં ખાતર (Fertilizer) અને સોડા એશ (Soda Ash)માં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
નૉન-ફેર રેવન્યુ (NFR) હેઠળ જાહેરાત, પાર્કિંગ અને અન્ય સ્ત્રોતોથી પણ આવકમાં વધારો થયો છે. ટિકિટ ચેકિંગના કેસોમાં અને તેમાંથી મળતી આવકમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે, જે રાજસ્વ સંરક્ષણ પ્રત્યેની સતર્કતા દર્શાવે છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે મંડળનું આ ઉત્તમ પ્રદર્શન સારી યોજના, સંકલન અને ગ્રાહકોને આપવામાં આવતી સુવિધાઓમાં સતત સુધારાના પરિણામરૂપ છે. ભવિષ્યમાં પણ મંડળ યાત્રી સુવિધાઓના વિસ્તરણ અને માલ પરિવહન સેવાઓને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ