
કચ્છ, 01 મે (હિ.સ.) : કચ્છ જિલ્લામાં આરોગ્ય, રાહત અને માનવસેવાના ક્ષેત્રે સતત સક્રિય રહેનારી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, કચ્છ જિલ્લા શાખામાં વર્ષ 2026 થી 2029 માટે નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે. આ નવી સમિતિના સુકાન તરીકે ચેરમેન પદે ધવલભાઈ આચાર્યની સર્વાનુમતે વરણી થતા સંસ્થાના આગામી કાર્યકાળને લઈને નવી આશાઓ જાગી છે. તેમની સાથે વાઇસ ચેરમેન તરીકે વિમલભાઈ મહેતા, ટ્રેઝરર તરીકે સંજયભાઈ ઉપાધ્યાય અને સેક્રેટરી તરીકે મીરાબેન સવાલિયાની પસંદગી કરવામાં આવી છે.
નવી કારોબારી સમિતિએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રેડક્રોસ સોસાયટીનો મૂળ હેતુ માત્ર સંસ્થા સંચાલન પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ સમાજના અંતિમ માણસ સુધી આરોગ્યલક્ષી સહાય, આપત્તિકાળમાં રાહત અને માનવતાધર્મી સેવા વધુ અસરકારક રીતે પહોંચાડવાનો રહેશે. કચ્છ જેવા વિશાળ અને સંવેદનશીલ જિલ્લામાં રેડક્રોસની ભૂમિકા હંમેશા અગત્યની રહી છે, અને નવી ટીમ આ ભૂમિકાને વધુ મજબૂત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત થયો છે.
ગત કાર્યકાળમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ શાખાએ અનેક જનહિતકારક પ્રવૃત્તિઓ દ્વારા પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. ખાસ કરીને બ્લડ બેંકની સેવા જિલ્લામાં અનેક દર્દીઓ માટે જીવનદાતા બની રહી છે. સંસ્થા દ્વારા સંચાલિત બ્લડ બેંકમાંથી દર્દીઓને કોઈપણ પ્રકારના રિપ્લેસમેન્ટ ડોનર વિના જ સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એટલું જ નહીં, જરૂરિયાત મુજબ વિવિધ હોસ્પિટલો સુધી રક્ત પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોવાથી ઇમરજન્સી પરિસ્થિતિમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને મોટી રાહત મળે છે.
રક્તની સતત ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે રેડક્રોસ સોસાયટી વિવિધ સમાજો, સેવાભાવી સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ અને યુવા મંડળોના સહયોગથી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નિયમિત બ્લડ ડોનેશન કેમ્પો યોજે છે. આ કેમ્પો માત્ર રક્તસંગ્રહ પૂરતા મર્યાદિત નથી, પરંતુ યુવાનોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ અને માનવસેવાનો સંદેશ પણ ફેલાવે છે. ખાસ કરીને થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતા બાળકોને સંસ્થા દ્વારા નિઃશુલ્ક રક્ત ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.
રેડક્રોસ સોસાયટી માત્ર બ્લડ બેંક સુધી મર્યાદિત નથી રહી. આપત્તિ વ્યવસ્થાપન માટે ડિઝાસ્ટર ટ્રેનિંગ, અકસ્માત કે તાત્કાલિક પરિસ્થિતિમાં જીવ બચાવવા માટે ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ જેવા કાર્યક્રમો દ્વારા સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ અને સેવાભાવી કાર્યકરોને તાલીમ આપવામાં આવી રહી છે. કચ્છમાં ભૂકંપ, આગ, પૂર જેવી સંવેદનશીલ પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા આ તાલીમો અત્યંત ઉપયોગી બની રહી છે.
નવ નિયુક્ત ચેરમેન ધવલભાઈ આચાર્યએ પોતાના પ્રાથમિક પ્રતિસાદમાં જણાવ્યું હતું કે રેડક્રોસ સોસાયટીનું કાર્ય માનવસેવાની ભાવનાથી પ્રેરિત છે અને આગામી સમયમાં સંસ્થાની સેવાઓને વધુ વ્યાપક બનાવવા માટે નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને પેથોલોજી લેબોરેટરી મારફતે સામાન્ય નાગરિકોને રાહતદરે વિવિધ ટેસ્ટિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. જો આ યોજના સાકાર થશે તો આરોગ્યસેવામાં સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને મોટો ફાયદો થશે.
નવી કારોબારી સમિતિમાં ડો. ભાવેશ આચાર્ય, ગુજરાત સ્ટેટ પ્રતિનિધિ મુકેશભાઈ આચાર્ય, અરુણભાઈ જૈન, પરાગ લીઆ, રામજીભાઈ ઘેડા, હરીશ ગણાત્રા, સચીન ઠક્કર, હીરાલાલ સોની, રાજેન્દ્ર ઠક્કર, ધર્મેન્દ્ર કચ્છી અને દક્ષેશ ત્રિપાઠી જેવા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ સભ્યોએ સંસ્થાને વધુ લોકકેન્દ્રિત, સક્રિય અને સેવા આધારિત બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો છે.
કચ્છમાં આરોગ્ય સહાય, રક્તદાન, આપત્તિ રાહત અને માનવસેવાના ક્ષેત્રે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પહેલેથી જ વિશ્વાસનું નામ બની ચૂકી છે. હવે ધવલભાઈ આચાર્યના નેતૃત્વ હેઠળ નવી કારોબારી સમિતિ સાથે સંસ્થા વધુ વ્યાપક જનસેવાના માર્ગે આગળ વધશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar