
- 100 વાહનોને સ્થળ પર મેમો આપી 1.48 લાખનો દંડ વસૂલવામાં આવ્યો
જુનાગઢ,06 મે (હિ.સ.) જૂનાગઢ, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ અંતર્ગત જુનાગઢ વિભાગ દ્વારા એપ્રિલ–2026 માસ દરમિયાન મુસાફરોની સુરક્ષા અને નિયમોનુ પાલન સુનિશ્ચિત કરવા માટે વિશેષ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત વિવિધ સ્તરે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
વિભાગ દ્વારા ખાનગી (પ્રાઇવેટ) રીતે બિનઅધિકૃત રીતે મુસાફરોનું વહન કરતા કુલ 35 વાહનોને ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત 100 વાહનચાલકોને સ્થળ પર મેમો ઇસ્યુ કરી કુલ રૂ. 1,48,800 નો દંડ વસુલવામાં આવ્યો હતો.
તે જ રીતે મુસાફરો પાસેથી ભાડું વસૂલ કરી ટીકીટ ન આપનાર 3 કંડકટરો ઝડપાયા હતા, જેમના વિરુદ્ધ નિગમના નિયમો મુજબ ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મુસાફરોમાં પણ જાગૃતિ લાવવા માટે ચકાસણી દરમિયાન ટીકીટ વગર મુસાફરી કરતા ૧૩ મુસાફરોને પકડવામાં આવ્યા હતા અને તેમના પાસેથી સ્થળ પર રૂ. 3840 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત વિભાગના કુલ ૦૯ ડેપોમાં ધુમ્રપાન કરવા તેમજ બસ અને બસ સ્ટેશનમાં પાન-માવો ખાઈ ગંદકી ફેલાવનાર 341 લોકોને પકડવામાં આવ્યા હતા, જેમની સામે કેસ નોંધાવી કુલ રૂ. 5590 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ