
અમદાવાદ,12 જૂન (હિ.સ.) અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં સિવિલ હોસ્પિટલની મેસ પર 12 જૂન 2025ના AI171 ફ્લાઈટ પ્લેન ક્રેશને 1 વર્ષ થતાં સાઇટ પર પર રૂપાણીની તસવીર મૂકી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. 12 જૂન 2025ના રોજ અમદાવાદ થી લંડન જતી AI171 ફ્લાઈટનું પ્લેન ક્રેશ થતા 260થી વધારે લોકોના કરુણ મોત થયા હતા. આજે 12 જૂન અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે પ્લેન ક્રેશ સાઇટ પર મૃતકના પરિવારજનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.
12 જૂન 2025ના રોજ બપોરે 1:39 વાગ્યે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. આ ગંભીર દુર્ઘટનામાં દેશ-વિદેશ અને અમદાવાદના 260થી વધારે મુસાફરોના મૃત્યુ થયા છે ત્યારે એક વર્ષ પૂર્ણ થતા આજે મૃતકના પરિવારજનો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પ્લેન ક્રેશ સાઈટ ઉપર મૃતકના પરિવારજનો એક વર્ષ પહેલા બનેલી ગંભીર દુર્ઘટનામાં જે સ્વજનો ગુમાવ્યા છે તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.
પ્લેન ક્રેશ સાઇટ ઉપર એક વર્ષ પહેલા જે ઘટના બની હતી તેના અવશેષો આજે પણ જોવા મળે છે.
શાહીબાગ ઘોડા કેમ્પ રોડ પર રહેતા અને મેન્ટલ બારી નજીક ઝાડ નીચે ચાની કીટલી ધરાવનાર મહિલા સીતાબેન પટણીનો 15 વર્ષીય પુત્ર આકાશ પટણી આ ઘટનામાં દાઝી જવાથી મૃત્યુ પામ્યો હતો. તેની માતા અને પરિવારજનો આજે પ્લેન ક્રેશ સાઈટ પર તેને યાદ કરીને વિલાપ કરી રહ્યા છે.
આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીકરી રાધિકા રૂપાણીએ, સાઇટ સ્થળે વૃક્ષા રોપણ કર્યું હતું. તેમણે પિતા સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
લંડનથી આવેલા પરિવારે પણ પ્લેન ક્રેશ સાઈટ પર તેમના પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્લેન ક્રેશમાં લંડનના ફ્યોંગલે જીવ ગુમાવ્યો હતો. તેના માતા-પિતા શ્રદ્ધાંજલિ આપવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આજે બ્રિટિશ હાઇ કમિશનર મિસિસ લિન્ડી કેમેરોન થોડીવારમાં ઘટનાસ્થળ પર પહોચશે અને સાઇટની મુલાકાત લેશે. ઘટનાસ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પ્લેન ક્રેશ સાઈટ ઉપર સાંજે સાત વાગ્યે જાણીતા કલાકારો હનુમાન ચાલીસા અને સુંદરકાંડ કરશે. ગાયક હેમંત ચૌહાણ, હિમાંશુ ચૌહાણ, મયુર દવે, રણજિત વાંક ઉપસ્થિત રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ