

- દુર્ઘટના પ્રભાવિત ન્યૂ મેન્ટલ કેમ્પસમાં રૂ. 547 કરોડથી વધુના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના આધુનિક પ્રોજેક્ટ્સનું આયોજન
અમદાવાદ, 12 જૂન (હિ.સ.) : ગત વર્ષે 12 જૂન 2025ના રોજ અમદાવાદની દુઃખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગતોને પ્રથમ વરસીએ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ અણધારી ઘટનાથી શોકગ્રસ્ત બનેલા પરિવારજનો પ્રત્યે આરોગ્ય મંત્રીએ હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના મેઘાણીનગર, અમદાવાદ સ્થિત ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે દુર્ઘટનાગ્રસ્ત ઇમારતોને દૂર કરી આધુનિક આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિરના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વાકાંક્ષી આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ સંદર્ભે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, દુઃખદ વિમાન દુર્ઘટના બાદ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ અને પરિવારજનો માટે તાત્કાલિક રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે આ સમગ્ર વિસ્તારને આધુનિક આરોગ્ય મંદિર અને શૈક્ષણિક મંદિર તરીકે નિર્માણ કરવાનો સંકલ્પ રાજ્ય સરકારે કર્યો છે.
ન્યૂ મેન્ટલ કેમ્પસમાં વિમાન દુર્ઘટનાથી નુકસાન પામેલી ઇમારતોને દૂર કરી નવા પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. જેમાં મુખ્ય આયોજન અંતર્ગત પેરાપ્લેજિયા અને સ્પાઈન હોસ્પિટલ, રિહેબિલિટેશન સેન્ટર, ફિઝિયોથેરાપી કોલેજ અને 500 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ. જેનો અંદાજિત ખર્ચ : રૂ. ૨૯૫ કરોડ થશે જેમાં અંદાજે ૨૫,૦૦૦ ચો.મી. જમીનનો ઉપયોગ થશે.
મેરિડ પી.જી. વિદ્યાર્થીઓ માટે ૫૧૦ યુનિટ ધરાવતા નવા હોસ્ટેલ બ્લોક્સ જી+૭ ઊંચાઈના અંદાજે ૮ બ્લોક્સનું નિર્માણ જેનો અંદાજિત ખર્ચ : રૂ. ૧૯૨ કરોડ થશે.
800 વિદ્યાર્થીઓ માટે આધુનિક કેન્ટીન બિલ્ડિંગ
જી+૧ માળનું નવું નિર્માણ જેનો અંદાજિત ખર્ચ : રૂ. ૧૦ કરોડ થશે.
નવીન ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી NABL ધોરણ મુજબની જી+૭ માળની અદ્યતન લેબોરેટરી જેનો અંદાજિત ખર્ચ : રૂ. ૫૦ કરોડ જેમાં અંદાજે ૩,૧૦૦ ચો.મી. જમીનનો ઉપયોગ થશે.
આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ ન્યૂ મેન્ટલ કેમ્પસ રાજ્યના અગ્રણી આરોગ્ય, સંશોધન અને મેડિકલ શિક્ષણ કેન્દ્ર તરીકે નિર્માણ પામશે, જે વિદ્યાર્થીઓ, આરોગ્યકર્મીઓ તેમજ સામાન્ય નાગરિકોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ