
પોરબંદર , 12 જૂન (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં પોરબંદર જિલ્લામાં તા. 14 જૂન, 2026ના રોજ સવારે 11 કલાકે તાજાવાલા હોલ ખાતે “પ્રબુદ્ધ નાગરિક સંમેલન” યોજાશે.
આ સંમેલનમાં શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, વેપાર, કૃષિ, સામાજિક સેવા, કલા-સાહિત્ય તેમજ અન્ય વિવિધ ક્ષેત્રોના અગ્રણી અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન વિકસિત ભારતના સંકલ્પ, જનભાગીદારી, સુશાસન તથા જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ જેવા વિષયો પર વિચાર-વિમર્શ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશે વિકાસ, સુશાસન, ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, ડિજિટલ પરિવર્તન અને આત્મનિર્ભર ભારત જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. પ્રબુદ્ધ નાગરિકો સાથેનો આ સંવાદ કાર્યક્રમ વિકાસયાત્રામાં સમાજના વિવિધ વર્ગોની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. અને જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોને આ સંમેલનમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya