
-ઇન્વેસ્ટર કનેક્ટમાં હૈદરાબાદના રોકાણકારોને મુખ્યમંત્રી સાયનું આમંત્રણ
-આઈટી, ટેક્સટાઇલ, ડેટા સેન્ટર અને ફાર્મા ક્ષેત્રમાં 7,800 રોજગારની તકો
રાયપુર, નવી દિલ્હી, 12 જૂન (હિ.સ.) છત્તીસગઢે રોકાણ આકર્ષિત કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. હૈદરાબાદમાં આયોજિત ‘છત્તીસગઢ ઇન્વેસ્ટર કનેક્ટ’ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોની સાત અગ્રણી કંપનીઓએ 9,580 કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવો રજૂ કર્યા છે, જેના કારણે 7,800થી વધુ રોજગારીની તકો સર્જાવાની સંભાવના છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને છત્તીસગઢમાં રોકાણ કરવા આમંત્રિત કરતાં જણાવ્યું કે, ‘વિકસિત ભારત’ના ગ્રોથ એન્જિન તરીકે છત્તીસગઢ ઝડપથી ઉભરી રહ્યું છે અને રાજ્યમાં રોકાણકારો માટે ‘રેડ કાર્પેટ’ પાથરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં છત્તીસગઢના વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી લખન લાલ દેવાંગન સહિત દક્ષિણ ભારતના અનેક મોટા ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને વેપારી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી સાયે જણાવ્યું કે, નવી ઔદ્યોગિક નીતિ અમલમાં આવ્યા બાદ દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ ઉપરાંત જાપાન અને દક્ષિણ કોરિયામાં યોજાયેલા ઇન્વેસ્ટર કનેક્ટ કાર્યક્રમો દ્વારા રાજ્યને 8 લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણ પ્રસ્તાવો મળ્યા છે. રાજ્ય સરકાર આ પ્રસ્તાવોનું ઝડપી અમલીકરણ કરવા માટે સક્રિય રીતે કાર્ય કરી રહી છે.
તેમણે જણાવ્યું કે, આજે છત્તીસગઢ રોકાણ માટે દેશના શ્રેષ્ઠ રાજ્યોમાંના એક તરીકે ઉભરી રહ્યું છે. રાજ્યમાં ઉદ્યોગો માટે સરળ પ્રક્રિયાઓ, સિંગલ વિન્ડો સિસ્ટમ, ઉત્તમ મૂળભૂત સુવિધાઓ અને ઉદ્યોગમૈત્રી નીતિઓ ઉપલબ્ધ છે. તેમણે રોકાણકારોને રાજ્યમાં ઉદ્યોગ સ્થાપવા આમંત્રણ આપ્યું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે હૈદરાબાદે આઈટી, ફાર્મા, બાયોટેક્નોલોજી અને એરોસ્પેસ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. છત્તીસગઢ પણ આ ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને બંને રાજ્યોના ઉદ્યોગપતિઓ તથા ઉદ્યોગસાહસિકો મળીને નવી તકોનો લાભ લઈ શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, મધ્ય ભારતમાં આવેલું છત્તીસગઢ દેશનું સૌથી યોગ્ય લોજિસ્ટિક હબ બનવાની ક્ષમતા ધરાવે છે. રાજ્ય સાત રાજ્યો સાથે જોડાયેલું છે અને 60 કરોડથી વધુ ગ્રાહકો સુધી સીધી પહોંચ પ્રદાન કરે છે. વ્યાપક રેલવે નેટવર્ક, ભારતમાલા યોજના, એર કાર્ગો સુવિધાઓ તથા ખનિજ સંપત્તિની ઉપલબ્ધતા તેને ઉદ્યોગો માટે અત્યંત અનુકૂળ બનાવે છે.
મુખ્યમંત્રી સાયે જણાવ્યું કે, છત્તીસગઢ દેશના ગ્રીન સ્ટીલને પ્રોત્સાહન આપતા અગ્રણી રાજ્યોમાં સામેલ છે. ઊર્જા ક્ષેત્રમાં રાજ્યને 3.5 લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણ પ્રસ્તાવો મળ્યા છે, જેના કારણે રાજ્ય દેશના અગ્રણી પાવર હબ તરીકે ઉભરી રહ્યું છે.
તેમણે સાત અગ્રણી કંપનીઓને છત્તીસગઢમાં રોકાણ માટે ‘ઇન્વિટેશન ટુ ઇન્વેસ્ટ’ (ઓફર લેટર) પણ આપ્યા. તેમાં ડેટા સેન્ટર, સિમેન્ટ, સેમિકન્ડક્ટર અને જીપીયુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર એનર્જી સાધનોનું ઉત્પાદન, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ અને ડેરી પ્રોસેસિંગ ક્ષેત્રની અગ્રણી કંપનીઓનો સમાવેશ થાય છે.
સૌથી મોટો રોકાણ પ્રસ્તાવ, હાઇપરનેક્સ્ટ ડેટા સેન્ટર લિમિટેડ તરફથી મળ્યો છે. કંપનીએ છત્તીસગઢમાં ભારતનું પ્રથમ સમર્પિત ડિઝાસ્ટર રિકવરી ડેટા સેન્ટર કેમ્પસ સ્થાપવા માટે 4,200 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની દરખાસ્ત મૂકી છે. આ પ્રોજેક્ટથી રાજ્યનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે અને છત્તીસગઢ ડેટા સેન્ટર ક્ષેત્રનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકશે. આ યોજનાથી આશરે 250 રોજગારીની તકો ઊભી થશે.
ફીગ્રેડ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડએ, સિમેન્ટ ક્ષેત્રમાં 2,912 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની દરખાસ્ત મૂકી છે, જેના કારણે આશરે 4,000 લોકોને રોજગાર મળી શકે છે.
તે જ રીતે નિવાઈ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડએ 1,000 કરોડ રૂપિયાના રોકાણથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), જીપીયુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એડવાન્સ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર એસેમ્બલી સંબંધિત સુવિધાઓ વિકસાવવાની યોજના રજૂ કરી છે. આથી રાજ્યમાં આધુનિક ટેકનોલોજી ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને લગભગ 200 રોજગાર સર્જાશે.
સોલાર એનર્જી સાધનોના ઉત્પાદન ક્ષેત્રની એસજી માર્ટ લિમિટેડએ 700 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની દરખાસ્ત મૂકી છે, જેના કારણે લગભગ 450 લોકોને રોજગાર મળી શકે છે.
સરવણા મિલ્સ પ્રાઇવેટ લિમિટેડએ 528 કરોડ રૂપિયાના રોકાણથી આધુનિક ટેક્સટાઇલ અને ગારમેન્ટ ઉત્પાદન એકમ સ્થાપવાની યોજના રજૂ કરી છે. આ પ્રોજેક્ટથી લગભગ 2,500 લોકોને રોજગાર મળવાની સંભાવના છે.
ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની કાબરા ડ્રગ્સએ 200 કરોડ રૂપિયા અને ડેરી ક્ષેત્રની દિનશોઝ ડેરી ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડએ 40 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની દરખાસ્ત મૂકી છે. આ બંને પ્રોજેક્ટોથી અનુક્રમે આશરે 250 અને 150 રોજગાર સર્જાશે.
હૈદરાબાદ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી સાય અને રાજ્યના પ્રતિનિધિમંડળે દેશની અનેક અગ્રણી કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમાં પેજ ઇન્ડસ્ટ્રીઝ, ડેલ્ટા ઇલેક્ટ્રોનિક્સ, એક્સિસ એનર્જી, સેલ્કોન ગ્રુપ અને મેગ્નમવિંગ્સ જેવી અગ્રણી કંપનીઓનો સમાવેશ થયો હતો.
આ બેઠકોમાં છત્તીસગઢમાં રોકાણની સંભાવનાઓ, ઉપલબ્ધ ઔદ્યોગિક સુવિધાઓ અને રાજ્ય સરકારની ઉદ્યોગમૈત્રી નીતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત સ્વામીનારાયણ ગુરુકુલ સંસ્થાના પ્રતિનિધિઓએ પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને રાયપુરના ટાટીબંધ વિસ્તારમાં 650 પથારી ધરાવતી ચેરિટેબલ હોસ્પિટલ સ્થાપવાની દરખાસ્ત અંગે ચર્ચા કરી હતી.
ઇન્વેસ્ટર કનેક્ટ કાર્યક્રમમાં આઈટી, ડેટા સેન્ટર, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, એરોસ્પેસ અને ડિફેન્સ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (જીસીસી) તથા અદ્યતન ઉત્પાદન જેવા ભવિષ્યલક્ષી ઉદ્યોગોમાં રોકાણની તકોને વિશેષરૂપે રજૂ કરવામાં આવી હતી. રોકાણકારોએ આ ક્ષેત્રોમાં ખાસ રસ દર્શાવ્યો હતો.
કાર્યક્રમમાં સીએસઆઈડીસીના અધ્યક્ષ રાજીવ અગ્રવાલ, મુખ્યમંત્રીના મુખ્ય સચિવ સુબોધ કુમાર સિંહ, ઉદ્યોગ વિભાગના સચિવ રજત કુમાર, મુખ્યમંત્રીના સચિવ રાહુલ ભગત, ઇન્વેસ્ટમેન્ટ કમિશનર ઋતુ સૈન, સીએસઆઈડીસીના મેનેજિંગ ડિરેક્ટર વિશ્વેશ કુમાર, ઉદ્યોગ વિભાગના ડિરેક્ટર પ્રભાત મલિક સહિત અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ગાયત્રી પ્રસાદ ધીવર / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ