
જામનગર, 12 જૂન (હિ.સ.) :
જામનગર શહેર વિસ્તારમાં સાઇચા ગેંગ સાથે સંકળાયેલા ગેરકાયદેસર બાંધકામો સામે આજે જિલ્લા તંત્ર દ્વારા સંયુક્ત ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કચેરીના માર્ગદર્શન હેઠળ શહેર વિભાગની મામલતદાર કચેરી, પોલીસ વિભાગ તથા અન્ય સંબંધિત સરકારી વિભાગોની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ કુલ 13 ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તોડી પાડવામાં આવેલા બાંધકામોની અંદાજિત કિંમત બે કરોડ રૂપિયામાં હોવાનું તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા માળખાઓને દૂર કરવા માટે જરૂરી મશીનરી અને બુલડોઝરની મદદ લેવામાં આવી હતી.
ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેર વિભાગના ડીવાયએસપી તથા અન્ય અધિકારીઓની હાજરીમાં સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સ્થળ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી.
તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્યવાહી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી અને મહાનગરપાલિકાની ટીમ આ કામગીરીમાં જોડાયેલી નહોતી. સંબંધિત વિભાગો દ્વારા જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા અને ચકાસણી પણ હાથ ધરવામાં આવી રહી છે.
તંત્રના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર બાંધકામો સામેની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેમજ સ્થળ પર સતત મોનીટરીંગ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt