
- અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે બંદીવાનોના તેજસ્વી બાળકો માટે એક નઈ ઉમ્મીદ કાર્યક્રમ યોજાયો
અમદાવાદ,12 જૂન (હિ.સ.) ગુજરાત રાજ્યના જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગ દ્વારા જેલમાં સજા ભોગવી રહેલા બંદીવાનો અને તેમના પરિવારોના ઉત્થાન માટે એક અત્યંત પ્રશંસનીય અને માનવતાવાદી પગલું ભરવામાં આવ્યું છે.
ગઈ કાલે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે “એક નઈ ઉમ્મીદ” યોજના અંતર્ગત એક વિશેષ પ્રોત્સાહન અને સન્માન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જેલમાં રહેલા બંદીવાનો તથા તેમના બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો.
વર્ષ-2026માં ધોરણ-10,12 તેમજ ઉચ્ચ અભ્યાસની પરીક્ષાઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ કરનાર રાજ્યની અલગ-અલગ જેલોના બંદીવાનોના કુલ 18 તેજસ્વી બાળકો તેમના સગા-સંબંધીઓ સાથે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્યના જેલોના વડા ડીજીપી ડૉ. કે.એલ.એન.રાવના વરદ્હસ્તે આ તમામ બાળકોને રોકડ પુરસ્કાર અને પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડૉ.રાવે તમામ બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી અને “એક નઈ ઉમ્મીદ” યોજનાના લાભો વિશે વિગતવાર માહિતી આપી બંદીવાનો અને તેમના પરિવારોને પ્રેરિત કર્યા હતા.
બંદીવાનોના જીવનમાં સુધારા તરફ આગળ વધતા, આ જ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે NIOS (National Institute of Open Schooling) સાથે એક મહત્વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્યા છે.
આ એમઓયુ અંતર્ગત જેલના બંદીવાનો ધોરણ-12 સુધીનો અભ્યાસ જેલની અંદર જ રહીને પૂર્ણ કરી શકશે. જે બંદીવાનોનો અભ્યાસ ભૂતકાળમાં છૂટી ગયો છે, તેઓ કોઈપણ ધોરણથી ફરી પ્રવેશ મેળવી શકશે.
ભવિષ્યમાં NIOS દ્વારા જેલના કેદીઓ માટે વિવિધ પ્રકારના વ્યાવસાયિક અને કૌશલ્યલક્ષી (Skill-based) અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવશે, જે જેલમુક્તિ બાદ તેમના પુનર્વસન અને રોજગારી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
આ સમગ્ર નવતર પહેલ અને કાર્યક્રમનું આયોજન ગુજરાત જેલના વડા DGP ડૉ. કે. એલ. એન. રાવ અને ડીઆઇજી રાકેશ બારોટના સક્ષમ માર્ગદર્શન હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષક ગૌરવ અગ્રવાલના સીધા સુપરવિઝનમાં કરવામાં આવ્યું હતું.
છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ