તૃણમૂલ નેતા અભિષેક બેનર્જીના કોલકતા સ્થિત નિવાસસ્થાને, વહેલી સવારે 3 વાગ્યે શરૂ થયેલી પોલીસ રેડ પાંચ કલાક બાદ પૂર્ણ થઈ
- ટીએમસી સાંસદે તાળું તોડીને તપાસ કરવાનો આરોપ લગાવ્યો કોલકતા, નવી દિલ્હી, 13 જૂન (હિ.સ.). તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને, શનિવારે વહેલી સવારે પોલીસે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રાજ્
તૃણમૂલ નેતા અભિષેક બેનર્જીના કોલકતા સ્થિત નિવાસસ્થાને, વહેલી સવારે 3 વાગ્યે શરૂ થયેલી પોલીસ રેડ પાંચ કલાક બાદ પૂર્ણ થઈ


- ટીએમસી સાંસદે તાળું તોડીને તપાસ કરવાનો આરોપ લગાવ્યો

કોલકતા, નવી દિલ્હી, 13 જૂન (હિ.સ.). તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને, શનિવારે વહેલી સવારે પોલીસે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રાજ્ય પોલીસ અને કોલકાતા પોલીસના મોટી સંખ્યામાં અધિકારીઓ અને જવાનો સવારે લગભગ 3 વાગ્યા પછી તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. લાંબા સમય સુધી દરવાજો ખખડાવ્યા બાદ, પોલીસે કથિત રીતે તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સર્ચ ઓપરેશન દરમિયાન કેન્દ્રીય દળોના જવાનો પણ નિવાસસ્થાનની બહાર તૈનાત રહ્યા હતા. ઘટનાની માહિતી મળતાં જ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા. સવારે લગભગ 8 વાગ્યે પોલીસ ટીમ બહાર નીકળ્યા બાદ, પૂર્વ મુખ્યમંત્રી પણ ત્યાંથી રવાના થયા હતા.

સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ અભિષેક બેનર્જીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસે તાળું તોડીને આખા ઘરની તલાશી લીધી છે અને આખી કાર્યવાહીનો રેકોર્ડ ઉપલબ્ધ છે. જોકે, પોલીસ કયા કેસની તપાસના સિલસિલામાં તેમના નિવાસસ્થાને પહોંચી હતી તેની સત્તાવાર માહિતી હજુ સુધી સામે આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શાલબની પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસ આ કાર્યવાહીમાં સામેલ હતી અને ટીમમાં મહિલા અધિકારીઓ પણ હાજર હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વહેલી સવારથી જ પોલીસ અને કેન્દ્રીય દળોના જવાનો નિવાસસ્થાનની બહાર તૈનાત હતા. ઘટનાસ્થળે અનેક પોલીસ વાહનો પણ ઉભા રાખવામાં આવ્યા હતા. સવારે 7 વાગ્યા પછી કેટલાક અધિકારીઓ ઘરની બહાર આવ્યા અને અંદરોઅંદર ચર્ચા કર્યા બાદ ફરી અંદર ગયા હતા. આશરે પાંચ કલાક સુધી ચાલેલી કાર્યવાહી બાદ પોલીસ ટીમે પરિસર છોડ્યું હતું.

આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે અભિષેક બેનર્જી સતત વિવિધ કેસોમાં તપાસ એજન્સીઓ સમક્ષ હાજર થઈ રહ્યા છે. તાજેતરમાં વિધાનસભામાં કથિત સહીની બનાવટના કેસમાં રાજ્યના ગુના તપાસ વિભાગ (સીઆઈડી) દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. કલકત્તા હાઈકોર્ટના નિર્દેશ બાદ તેઓ ભવાની ભવન સ્થિત સીઆઈડી મુખ્યાલય પહોંચ્યા હતા, જ્યાં તેમની અંદાજે સાડા પાંચ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

આ કેસમાં કોર્ટે તપાસ ચાલુ રાખવાની મંજૂરી આપી છે, પરંતુ સાથે જ એવું પણ કહ્યું છે કે, બે અઠવાડિયા સુધી અભિષેક બેનર્જી વિરુદ્ધ કોઈ કડક પગલાં લેવામાં આવશે નહીં. કોર્ટે તેમને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનો નિર્દેશ આપ્યો છે.

આ ઉપરાંત શુક્રવારે પણ સીઆઈડીની એક ટીમ અભિષેક બેનર્જીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. આ કાર્યવાહી ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકરો અને અમિત શાહ વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપવાના કેસમાં નોંધાયેલી સાયબર ફરિયાદના સંબંધમાં કરવામાં આવી હતી. અધિકારીઓએ તેમને નોટિસ પાઠવીને 16 જૂને પૂછપરછ માટે હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. બીજી તરફ, સહીની બનાવટના કેસમાં તેમને 14 જૂને ફરીથી ભવાની ભવનમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

આ દરમિયાન પ્રાથમિક શિક્ષક ભરતી કૌભાંડ કેસની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ પણ અભિષેક બેનર્જીને 15 જૂને સમન્સ પાઠવ્યા છે. સતત મળી રહેલા સમન્સ અને તપાસ એજન્સીઓની સક્રિયતા વચ્ચે શનિવારની આ પોલીસ કાર્યવાહી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande