
સુરત, 20 જૂન (હિ.સ.) : અમરોલીમાં મનીષા ગરનાળા પાસે દિવ્યા મોલમાં આવેલ લોન રીકવરી એજન્ટની ઓફિસમાં શુક્રવારે બપોરે સાડા ત્રણ વાગ્યે ધસી આવેલા ત્રણ બદમાશોએ ઓફિસમાં તોડફોડ કરી છરી બતાવી સ્ટાફના માણસોને મારમારી બહાર કાઢી રૂપિયા 2.50 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.
અમરોલી પોલીસના જણાવ્યા મુજબ મનીષા ગરનાળાસ પાસે, દિવ્યા મોલમાં લોન રીકવરી એજન્ટની ઓફિસ આવેલી છે. શુક્રવારે બપોરના સાડા ત્રણથી ચાર વાગ્યાના સમયગાળામાં ભુપત નારણ આહીર, ગોપાલ ગૌસ્વામી સહિત ત્રણ જણા છરી સાથે ધુસી આવ્યા હતા અને ઓફિસમાં કામ કરતી શીતલબેન સુનીલભાઈ બાઘલેને છરી બતાવી ઓફિસમાંથી બહાર કાઢી મુક્યા હતા. ત્યારબાદ ચિંતન પરેશભાઈ અકબરીને આઠથી દસ લાફા મારી ઓફિસમાં તોડફોડ કરી આશરે રૂપિયા ૨ લાખનું નુકસાન કર્યું હતું. આ ઉપરાંત લૂંટારૂઓએ ઓફિસના ટેબલના ડ્રોઅરમાં રાખેલા કલેક્શનના રોકડ 2.50 લાખ અને બે મોબાઈલ ફોન લૂંટી નાસી ગયા હતા. બનાવ અંગે ઓફિસના કર્મચારી ધવલ અશ્વિનભાઈ રાબડીયા (રહે,કૈલાશ રો હાઉસ, નવો કોસાડ રોડ, અમરોલી)એ ફરિયાદ નોંધાવતા અમરોલી પોલીસે લૂંટ, મારામારી અને તોડફોડ અંગે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે