
મહેસાણા, 20 જૂન (હિ.સ.)ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ આજે ઊંઝા ખાતે આવેલા એપીએમસી ગાર્ડનમાં યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, યોગપ્રેમીઓ અને વિવિધ વયજૂથના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગના મહત્વને ઉજાગર કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરાવવામાં આવી હતી. ઉપસ્થિત સહભાગીઓએ યોગાભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવાના સંદેશને આત્મસાત કર્યો હતો. યોગના નિયમિત અભ્યાસથી શરીર તંદુરસ્ત રહેવા ઉપરાંત તણાવમુક્ત જીવન જીવવામાં મદદ મળે છે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે, યોગ ભારતની પ્રાચીન પરંપરા છે, જે આજે સમગ્ર વિશ્વમાં સ્વાસ્થ્ય માટે અસરકારક સાધન તરીકે સ્વીકારવામાં આવી છે. યોગને દૈનિક જીવનનો ભાગ બનાવી સ્વસ્થ સમાજના નિર્માણમાં સૌએ યોગદાન આપવું જોઈએ.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સહભાગીઓએ ઉત્સાહભેર યોગાસનોમાં ભાગ લીધો હતો અને સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR