
મહેસાણા, 20 જૂન (હિ.સ.)મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં આવેલા યાત્રાધામો અને પ્રવાસન સ્થળોના સુઆયોજિત વિકાસ તેમજ જરૂરી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવાના હેતુથી રચાયેલી સમિતિની આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ અગાઉના વર્ષોમાં પ્રવાસન અને યાત્રાધામ વિકાસ માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટ હેઠળ હાથ ધરાયેલા કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી. વિવિધ સ્થળોએ ચાલી રહેલા વિકાસ કામો સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત જિલ્લાના વિવિધ મંદિરો અને યાત્રાધામોના વિકાસ માટે પ્રાપ્ત થયેલી નવી દરખાસ્તો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સમિતિ દ્વારા વિવિધ પ્રસ્તાવોને બહાલી આપવામાં આવી અને આગામી સમયમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસને વધુ વેગ આપવા માટે આયોજન અંગે વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ, મહેસાણા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી સોનલબેન શાહ, રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક, લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, વિવિધ ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંચુ વિલ્સન, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સહિત સમિતિના સભ્યો અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR