
મહેસાણા, 20 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગઢવાડા પ્રજાપતિ સમાજવાડી ખાતે પીએમ-કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત “પીએમ કિસાન ઉત્સવ દિવસ” અને મિલેટ મેળાની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધ કૃષિ અને ખેડૂતલક્ષી યોજનાઓના લાભાર્થી ખેડૂતોને પૂર્વ મંજૂરીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા તેમજ ખેડૂતોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના ખેડૂતોને સંબોધિત કર્યા હતા. તેમણે ખેડૂતોના કલ્યાણ, કૃષિ વિકાસ, ટકાઉ ખેતી પદ્ધતિઓ અને કુદરતી સંસાધનોના સંરક્ષણ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. સાથે જ ખેડૂતોની આવક વધારવા માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ વિશે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે “ખેત બચાવો અભિયાન” અને “પ્રાકૃતિક કૃષિ અભિયાન” અંતર્ગત જમીનના આરોગ્યમાં સુધારો, રાસાયણિક ખાતરોના ઉપયોગમાં ઘટાડો અને પ્રાકૃતિક ખેતીના લાભો અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત મિલેટ પાકોના પોષણ અને આર્થિક મહત્વ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મોંઘીબેન ચૌધરી, અરવિંદભાઈ પટેલ, કનુભાઈ બારોટ, ગોપાલસિંહ ચૌહાણ સહિત કૃષિ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ખેડૂતોમાં જાગૃતિ વધારવા અને કૃષિ ક્ષેત્રને વધુ સમૃદ્ધ બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR