
નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, શનિવારે પશ્ચિમ બંગાળ દિવસ (પશ્ચિમ બંગાળ સ્થાપના દિવસ) નિમિત્તે રાજ્યના તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ તેમણે ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાપૂર્વક નમન કરી તેમના યોગદાનને અવિસ્મરણીય ગણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાહેર કરેલા પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળે સાહિત્ય, સંગીત, કળા, આધ્યાત્મિકતા, વિજ્ઞાન, વેપાર, વાણિજ્ય અને સામાજિક સુધારણા જેવા અનેક ક્ષેત્રોમાં પોતાના અમૂલ્ય યોગદાનથી ભારતના ઇતિહાસને મહત્વપૂર્ણ આકાર આપ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, બૌદ્ધિક પરંપરા અને સામાજિક જાગૃતિના પ્રવાહે દેશને નવી દિશા આપવાનું કામ કર્યું છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળની ધરતીએ અનેક મહાન વિભૂતિઓને જન્મ આપ્યો છે, જેમના વિચારો અને કાર્યોએ માત્ર રાજ્યને જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રને પ્રેરણા આપી છે. બંગાળના પુનર્જાગરણથી લઈને સ્વતંત્રતા સંગ્રામ અને આધુનિક ભારતના નિર્માણ સુધી પશ્ચિમ બંગાળનું યોગદાન હંમેશા અગ્રેસર રહ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યની સાંસ્કૃતિક ચેતના અને જ્ઞાન પરંપરા ભારતીય લોકશાહી તેમજ સામાજિક જીવનનો એક અમૂલ્ય વારસો છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, 20 જૂન પશ્ચિમ બંગાળના ઇતિહાસનો એક મહત્વપૂર્ણ દિવસ છે. આ જ દિવસે લેવાયેલા ઐતિહાસિક નિર્ણયોને કારણે એ સુનિશ્ચિત થયું હતું કે પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ બની રહે. તેમણે ઉમેર્યું કે, આ દિવસ રાજ્યના ગૌરવશાળી ઇતિહાસ, સંઘર્ષો અને રાષ્ટ્રીય એકતા પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતાને યાદ કરવાનો અવસર પણ છે.
આ પ્રસંગે વડાપ્રધાને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળને ભારત સાથે જોડી રાખવામાં અને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવામાં તેમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે. તેમણે કહ્યું કે, દેશ આ વર્ષે ડૉ. મુખર્જીની 125મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે, જેનાથી તેમના રાષ્ટ્રવાદી વિચારો, દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ અને દેશ પ્રત્યેના સમર્પણને યાદ કરવાનો અવસર મળ્યો છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ડૉ. મુખર્જીએ દેશની એકતા, અખંડિતતા અને લોકતાંત્રિક મૂલ્યોના રક્ષણ માટે નોંધપાત્ર કાર્યો કર્યા હતા. તેમના વિચારો અને આદર્શો આજે પણ દેશવાસીઓને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને કાર્ય કરવાની પ્રેરણા આપે છે. તેમણે ઉમેર્યું કે, પશ્ચિમ બંગાળ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને હંમેશા આદર અને કૃતજ્ઞતા સાથે યાદ રાખવામાં આવશે.
પોતાના સંદેશમાં વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકાર રાજ્યના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને વિકાસના નવા આયામો સ્થાપિત કરવા માટે મળીને કામ કરતી રહેશે. તેમણે જણાવ્યું હતું કે, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઉદ્યોગ અને રોજગારના ક્ષેત્રોમાં રાજ્યના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર સતત પ્રતિબદ્ધ છે.
વડાપ્રધાને પશ્ચિમ બંગાળની સતત પ્રગતિ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરતા જણાવ્યું હતું કે, રાજ્યની પ્રતિભા, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને સર્જનાત્મક ઉર્જા આગામી વર્ષોમાં પણ ભારતના વિકાસ પથને નવી પ્રેરણા અને શક્તિ આપતી રહેશે. તેમણે રાજ્યના તમામ નાગરિકોના સુખી, સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ