
સુરત, 21 જૂન (હિ.સ.) : સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટરમાં
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં હજારો સુરતીઓ ડિજિટલ દુનિયા અને ભાગદોડભરી
જિંદગીમાંથી સમય કાઢીને યોગમય બન્યા હતા. આ કાર્યક્રમમાં સુરતના જાણીતા યોગસાધક
બ્રિજેશ પારેખ અને તેમના 70 વર્ષીય માતાની અનોખી જોડી એકસાથે યોગ કરતી જોવા મળી
હતી.
બ્રિજેશ પારેખ કોઈ નવશીખા યોગસાધક નથી, પરંતુ
તેઓ વર્ષ 1992થી એટલે કે છેલ્લા સાડા ત્રણ દાયકાથી અવિરતપણે યોગ સાધના કરી રહ્યા
છે. તેમના આ યોગ પ્રવાસના પ્રેરણારૂપ સ્ત્રોત અને માર્ગદર્શક બીજા કોઈ નહીં, પરંતુ
તેમના 70 વર્ષીય માતા છે. માતા અનુભવી યોગ
ટ્રેનર છે, જેમણે બ્રિજેશભાઈને નાની ઉંમરે જ યોગના
સંસ્કારોનું સિંચન કર્યું હતું. આજે 70 વર્ષની ઉંમરે પણ તેમના માતા એટલી જ
સ્ફૂર્તિથી યોગાસનો કરે છે અને અન્ય લોકોને પણ સ્વસ્થ જીવન જીવવાની ટ્રેનિંગ આપે
છે. મા-દીકરાની આ જોડી છેલ્લા 34 વર્ષથી નિયમિત સાથે મળીને યોગાભ્યાસ કરે છે, જે આજના
અસ્થિર સમયમાં કૌટુંબિક એકતા અને સ્વાસ્થ્યનું અદ્દભૂત ઉદાહરણ પૂરું પાડે છે.
રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા બ્રિજેશભાઈએ જણાવ્યું કે, મારો
બિઝનેસ અત્યંત ભાગદોડ અને માનસિક તણાવવાળો છે. યોગ શરૂ કર્યા પહેલાં હું સતત
સ્ટ્રેસ અને ભારે થાક અનુભવતો હતો. પરંતુ જ્યારથી યોગને મેં જીવનનો હિસ્સો બનાવ્યો
છે, ત્યારથી શરીરમાં એક નવી સ્ફૂર્તિ, અખૂટ
શક્તિ અને પરમ આનંદનો સંચાર થયો છે. હવે હું ગમે તેવા કપરા સંજોગોમાં પણ મારું
વ્યાવસાયિક કાર્ય ખૂબ જ સરળતાથી અને સકારાત્મક રીતે પૂર્ણ કરી શકું છું.
બ્રિજેશભાઈ અને તેમના માતાના મતે યોગ એ માત્ર શરીરને વાળવાની કસરત સાથે
આજના આધુનિક અને વ્યસ્ત જીવનમાં સ્વસ્થ રહેવાની એક અનિવાર્ય જડીબુટ્ટી છે. ખાસ
કરીને કોર્પોરેટ અને બિઝનેસ ક્ષેત્રના લોકો જેઓ સતત ટાર્ગેટ અને દોડધામ વચ્ચે જીવે
છે, તેમના માટે યોગ માનસિક સંતુલન જાળવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે.
70 વર્ષની ઉંમરે પણ યોગ ટ્રેનર તરીકે સક્રિય માતા અને સફળ બિઝનેસમેન
દીકરાની આ જુગલબંદી ‘જો મનમાં દ્રઢ સંકલ્પ હોય, તો ઉંમર
કે સમયની કમી ક્યારેય સ્વાસ્થ્યના આડે આવી શકતી નથી’ એવો પ્રેરક સંદેશ આપી જાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે