




આકસ્મિક આગ લાગતા બંધ કન્ટેનરમાં ભરેલો લાખોનો માલસામાન બળીને ખાખ
તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા આવી પાણીનો મારો ચલાવતા સદનસીબે જાનહાનિ ટળી
એક્સપ્રેસ હાઈવે નંબર 4 ઉપર અકસ્માતો બાદ આ એક અલગ જ પ્રકારની ઘટના બની હતી
ભરૂચ, 21 જૂન (હિ.સ.) ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના એક્સપ્રેસ હાઈવે નંબર 4 પર શોર્ટ સર્કિટ અથવા અન્ય અગમ્ય કારણોસર ચાલુ કન્ટેનરમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠવાની ચકચારી ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખું કન્ટેનર આગની લપેટમાં આવી ગયું હતું અને તેમાં રહેલો લાખો રૂપિયાનો વિવિધ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે નં. 4 પર ભરૂચ તાલુકાના દયાદરા ગામ નજીક એક ચાલતા કન્ટેનરમાં, અચાનક શોર્ટ સર્કિટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. દિલ્હીથી પાર્સલનો સામાન ભરીને મુંબઈ તરફ જઈ રહેલ ટ્રક કન્ટેનર RJ-38-6565 નંબરના એક મોટા માલવાહક કન્ટેનરમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી. આ કન્ટેનરમાં કિંમતી માલસામાન ભરેલો હતો જેમાં ઈલેક્ટ્રિક સામાન અને વાયર,બેટરીઓ, દવાઓનો જથ્થો અને અન્ય વિવિધ વ્યાપારી ચીજવસ્તુઓ ભરેલી હતી.
કન્ટેનરમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ ચાલકે, વાહન બાજુ પર ઊભું રાખી દીધું હતું. બેટરી અને ઈલેક્ટ્રિક વાયરના કારણે, આગે ગણતરીની મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આગની ઘટના અંગે સ્થાનિકો અને ચાલક દ્વારા ત્વરિત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર ફાઈટરની ટીમ ભારે સાધનો સાથે તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર અધિકારીઓ અને જવાનોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
જાનહાનિ ટળી હતી સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા કે, જાનહાનિ થઈ નથી, જે એક મોટા રાહતના સમાચાર છે.માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.કન્ટેનરની અંદર રાખેલો ઈલેક્ટ્રિક સમાન, દવાઓ અને બેટરીઓ સહિતનો તમામ માલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે, જેનાથી મોટા આર્થિક નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે.ટ્રાફિક જામની સમસ્યા સર્જાય હતી. હાઈવે પર ચાલુ કન્ટેનરમાં આગ લાગવાના પગલે વાહનચાલકોમાં થોડો સમય માટે ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી.પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા હાલ આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ