
છોટાઉદેપુર , 21 જૂન (હિ.સ.)
સમગ્ર વિશ્વ જ્યારે 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણીમાં મગ્ન છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાંચ ઉત્સાહી અને પ્રકૃતિપ્રેમી શિક્ષકોએ એક અનોખો અને પ્રેરણાદાયી રાહ ચીંધ્યો છે. જિલ્લાની જુદી-જુદી પ્રાથમિક શાળાઓના આ શિક્ષકોએ યોગ દિવસ નિમિત્તે માત્ર ચાર દીવાલોની વચ્ચે કે મેદાનમાં યોગ કરવાને બદલે, કુદરતના સાનિધ્યમાં સાહસ અને સ્વાસ્થ્યનો સમન્વય સાધીને એક નવો જ સંદેશ આપ્યો છે.
આ અનોખી ઉજવણી માં
નિરવભાઈ મહેતા (પરવટા મહા ન.વ પ્રા. શાળા)
ધવલભાઈ મંડિર (લાછરસ પ્રા. શાળા)
સુનિલપરી ગોસ્વામી (ટીબા પ્રા. શાળા)
નિલેશભાઈ રોજાસરા (મોરા ડુંગરી પ્રા. શાળા)
વિનુભાઈ જાદવ (છછાદરા પ્રા.શાળા)શિક્ષકો સામેલ હતા.
આ પાંચેય શિક્ષકોએ વહેલી સવારે છોટાઉદેપુરના સુપ્રસિદ્ધ અને પવિત્ર એવા 'ફેણાઈ માતા'ના ડુંગર પર ટ્રેકિંગ (ચઢાણ) શરૂ કર્યું હતું. કુદરતી સૌંદર્યથી ભરપૂર અને પડકારજનક ચઢાણ પાર કરીને તેઓ ડુંગરની ટોચે આવેલા માં ફેણાઈના પવિત્ર મંદિર પરિસરે પહોંચ્યા હતા.
પ્રકૃતિના સાનિધ્યમાં યોગ અને અનોખો સંદેશ-
ડુંગરની ટોચે, પહાડોની શુદ્ધ હવા અને પક્ષીઓના કલરવ વચ્ચે આ શિક્ષકોએ યોગ, પ્રાણાયામ અને ધ્યાનની વિવિધ ક્રિયાઓ કરી હતી.
શિક્ષકોએ જણાવેલ કે, યોગ એ માત્ર કસરત નથી, પરંતુ પ્રકૃતિ અને આત્મા સાથે જોડાવાનું માધ્યમ છે. આજના ડિજિટલ યુગમાં જો આપણે શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવું હોય, તો યોગની સાથે-સાથે પ્રકૃતિની નજીક જવું પડશે. ટ્રેકિંગ અને યોગનો આ સમન્વય યુવા પેઢીને સાહસિક બનવાની અને પર્યાવરણને પ્રેમ કરવાની પ્રેરણા પૂરી પાડશે.
શિક્ષકોના આ પ્રેરણાદાયી અને અનોખા સાહસને શિક્ષણ જગત, સ્થાનિક ગ્રામજનો અને સોશિયલ મીડિયા પર વ્યાપક આવકાર અને બિરદાવલી મળી રહી છે. ખરા અર્થમાં આ શિક્ષકોએ સાબિત કર્યું છે કે ગુરુ ધારે તો સમાજને નવી દિશા ચિંધી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ