






પોરબંદર, 21 જૂન (હિ.સ.) : પોરબંદરના વિશાળ અને મનોહર દરિયાકિનારે વહેલી સવારના શીતળ પવન, મોજાંના મધુર નાદ અને પ્રકૃતિના અલૌકિક સાનિધ્ય વચ્ચે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ખાસ કરીને આ વર્ષનો 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાનો અવસર એક અનોખો સંયોગ સર્જ્યો છે.
દરિયા અને પ્રકૃતિના અદભૂત સંગમ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિ રહ્યાં હતા આ આયોજનમાં મોટી સંખ્યામાં નાગરિકો, યોગપ્રેમીઓ, વિદ્યાર્થીઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ યોગને સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલીનો આધાર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદરની યોગપ્રેમીઓ તેમજ દેશવાસીઓને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વને યોગની મહાન પરંપરા સાથે જોડવાનો અવસર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને પ્રયત્નોથી પ્રાપ્ત થયો છે. તેમના પ્રયાસોના પરિણામે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા (UN) દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવામાં આવી, જે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પેઢીઓ બદલાતી રહેશે, પરંતુ ભારતની પ્રાચીન યોગ પરંપરાને વૈશ્વિક ઓળખ અપાવવા માટે દેશ હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરતો રહેશે. તેમણે ઉમેર્યું હતું કે યોગ એ ભારતની અમૂલ્ય સાંસ્કૃતિક ધરોહર છે, જે શરીર, મન અને આત્માના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. યોગ માત્ર વ્યાયામ નહીં, પરંતુ સ્વસ્થ, સંતુલિત અને સકારાત્મક જીવન જીવવાની જીવનપદ્ધતિ છે.
અંતમાં મંત્રીએ સૌને અપીલ કરી હતી કે યોગને માત્ર એક દિવસની ઉજવણી પૂરતો મર્યાદિત ન રાખતા તેને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવો જોઈએ. નિયમિત યોગાભ્યાસ દ્વારા વ્યક્તિ પોતાની આંતરિક ચેતનાને જાગૃત કરી સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપી શકે છે.
કાર્યક્રમના મંત્રી સહિતના મહાનુભાવોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું અને યોગ અભ્યાસ કર્યો હતો કાર્યક્રમના પ્રારંભે જિલ્લા યુવા વિકાસ અધિકારી તેજલબા ચૌહાણે શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂજા રાજાએ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ ઓડેદરા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી, જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી, ડીઆઈજી કોસ્ટ ગાર્ડ એસએસએન વાજપાઇ.જિલ્લા પોલીસ અધિક્ષક બી. યુ. જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી મેયર મનીષ શિયાળ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપ કેશવાલા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતના તિવારી,નેવી કોસ્ટ ગાર્ડ અધિકારીઓ, કોર્પોરેટરઓ,અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya