
પાટણ, 21 જૂન (હિ.સ.) : સમગ્ર વિશ્વ સાથે પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિર સંકુલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આયુર્વેદ અધિકારી ડો. ગૌરાંગભાઈ વ્યાસે યોગનું મહત્વ અને તેના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ડો. વ્યાસે અષ્ટાંગ યોગના વિવિધ અંગો વિશે માહિતી આપી હતી. સાથે જ ઉપસ્થિત લોકોને ગરદન, ખભા, કમર અને ઘૂંટણની સૂક્ષ્મ ક્રિયાઓ ઉપરાંત તાડાસન, અર્ધ ચક્રાસન, વજ્રાસન, અર્ધ ઉષ્ટ્રાસન, મકરાસન અને શવાસનનો અભ્યાસ કરાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન નાડી શોધન, શીતલી અને ભ્રામરી પ્રાણાયામ તેમજ ધ્યાનની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવી હતી. ઉજવણીમાં ગામના યોગ રસિકો, આશા વર્કરો, યોગ ટ્રેનરો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ