
પાટણ, 22 જૂન (હિ.સ.)પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે તળાવ કિનારે આવેલી રામ મઢી દાતાઓ અને સેવાભાવી કાર્યકર્તાઓના પ્રયાસોથી સુંદર પિકનિક ધામ અને ઉપવન તીર્થ તરીકે વિકસી રહી છે. અહીં પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનો અનોખો સમન્વય જોવા મળે છે.
રામ મઢી આસપાસ લીમડા, પીપળા અને વટવૃક્ષ જેવા ઘટાદાર વૃક્ષો છે. સેવાભાવી દિલીપભાઈ વ્યાસના પ્રયાસોથી મોગરો, ગુલમહોર, ચંદન, જામફળ સહિત અનેક છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
આ સ્થળે દિવંગત સંત રામદાસ બાપુની દેરી અને પાદુકા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે. સાથે જ બાપા સીતારામની જગ્યા પણ આવેલી છે, જ્યાં ભક્તો દર્શન માટે આવે છે.
રામ મઢીના વિકાસ માટે ચેતનભાઈ રામશંકર વ્યાસે અંદાજે દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ કરીને રસ્તો, પાકી નિક, છત્રી અને તાર ફેન્સીંગ જેવી સુવિધાઓ ઊભી કરી છે.
રામ મઢીમાં નિવાસ કરતા દિલીપભાઈ વ્યાસ પક્ષીઓ અને પશુઓને નિયમિત અન્ન-પાણી પૂરા પાડે છે. સ્થાનિક લોકો માટે પણ આ સ્થળ ઉપયોગી બન્યું છે, જ્યાં લીંબોળી વીણીને કેટલીક મહિલાઓ રોજગારી મેળવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ