
કચ્છ, 22 જૂન (હિ.સ.) : પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા નાગરિકોના હિતોની રક્ષા અને ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરવાના પ્રયાસો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે. આ જ દિશામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) ભુજે વધુ એક નોંધપાત્ર સફળતા મેળવી છે. છેતરપિંડીનો ભોગ બનેલા એક વેપારીને તેમની ગુમાવેલી રકમ પરત અપાવી પોલીસે માત્ર કાયદાની જ નહીં પરંતુ માનવતાની પણ ઉત્તમ મિસાલ રજૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તમિલનાડુના રહેવાસી અને વ્યવસાય સાથે સંકળાયેલા ધીરન નામના વેપારી કચ્છ જિલ્લાના ભુજ વિસ્તારમાં વ્યાવસાયિક કામકાજ માટે આવ્યા હતા. આ દરમિયાન તેઓ કોઈ શખ્સ દ્વારા છેતરપિંડીનો ભોગ બન્યા હતા, જેના કારણે તેમને કુલ રૂ. 5 લાખ 60 હજારનું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું. પોતાના સાથે થયેલી છેતરપિંડી અંગે તેમણે લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી મદદ માગી હતી.
અરજદારની રજૂઆતને ગંભીરતાથી લઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ ટીમે વિવિધ ટેકનિકલ અને માનવસૂત્રોના આધારે તપાસ હાથ ધરી હતી. સતત પ્રયાસો બાદ છેતરપિંડીમાં સંડોવાયેલા વ્યક્તિને શોધી કાઢવામાં આવ્યો હતો અને તેની પાસેથી છેતરપિંડીની સંપૂર્ણ રકમ વસૂલ કરવામાં સફળતા મળી હતી.
પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજાએ સમગ્ર કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની મહેનત અને સતર્કતાના પરિણામે અરજદારને કુલ રૂ. 5.60 લાખની રકમ પરત મળી શકી હતી. ગુમાવેલી રકમ પાછી મળતાં અરજદારે પશ્ચિમ કચ્છ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
પશ્ચિમ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ થયેલી આ કામગીરીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પોલીસ માત્ર ગુનેગારોને પકડવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ પીડિતોને ન્યાય અપાવવામાં પણ સક્રિય અને પ્રતિબદ્ધ છે. છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિને તેની રકમ પરત અપાવી એલસીબીએ “તેરા તુજકો અર્પણ”ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક બનાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar