
પોરબંદર, 22 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરના માણેકચોક વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકના એટીએમમાં એક મહિલાને મદદ કરવાના બહાને ઠગાઈ આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે મહિલાનો વિશ્વાસ જીતી તેમનું એટીએમ કાર્ડ બદલી નાખી ખાતામાંથી રૂ. 40 હજાર ઉપાડી લીધા હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.મળતી માહિતી મુજબ પોરબંદરની શીતળાચોક વિસ્તારમાં જલારામ મંદિર પાસે રહેતા અને નોકરી કરતા ધર્મિષ્ઠાબેન ભરતભાઈ ખુદાઈ (ઉ.વ. 47) માણેકચોક સ્થિત એસબીઆઈ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા. તે દરમિયાન એક અજાણ્યા શખ્સે તેમને એટીએમમાંથી રૂપિયા ઉપાડવામાં મદદ કરવાની વાત કરી હતી.આ દરમિયાન આરોપીએ મહિલાનો વિશ્વાસ જીતી તેમનું મૂળ એટીએમ કાર્ડ પોતાની પાસે રાખી અન્ય કાર્ડ આપી દીધું હતું. બાદમાં મહિલાના ખાતામાંથી રૂ. 40,000 ઉપાડી લઈ ઠગાઈ આચરી હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya