
- દરિયામાં સર્જાનારી આ જોખમી સ્થિતિને ધ્યાનમાં માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા કડક તાકીદ
અમદાવાદ,22 જૂન (હિ.સ.) : ચોમાસું રાજ્યમાં દસ્તક દેવા જઈ રહ્યું છે, ત્યારે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરત સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. સુરત ઉપરાંત વલસાડ અને તાપીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક એટલે કે સાંજે 4 વાગ્યા સુધી રાજ્યમાં વરસાદની આગાહી સાથે એલર્ટ આપ્યું છે. જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને દીવમાં પણ હળવા વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ આવતું ચોમાસું સાયક્લોનિક અસરોના કારણે લંબાયું છે. જોકે, આજે વહેલી સવારથી સુરત શહેર અને આસપાસના વિસ્તારો, વલસાડ, અમરેલી, નવસારીના ઇટાળવા-જમાલપોર, તાપીના વ્યારા-વાલોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે.
સવારના 6 થી 2 વાગ્યા સુધીમાં રાજ્યના 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે, વલસાડમાં પણ ધોધમાર વરસાદથી શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. વલસાડ અને મુઘરાવાળીને જોડતો મુખ્ય માર્ગ પરના મુઘરાવાળી રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વિદ્યાર્થી સહિત નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય (MHA) દ્વારા આગામી 5 દિવસ (22થી 27 જૂન, 2026) માટે દેશના પશ્ચિમ દરિયાકાંઠે કડક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાનારી આ પ્રતિકૂળ સ્થિતિની સીધી અસર ગુજરાત પર પણ જોવા મળશે.
તોફાની પવનની ગંભીર આશંકાને પગલે કેન્દ્ર સરકાર દ્વારા એલર્ટ કરાયેલા રાજ્યોમાં ગુજરાત પણ સામેલ છે. ગુજરાતને સ્પર્શતા અરબી સમુદ્રમાં અને સોમાલિયા તટની આસપાસ આગામી 5 દિવસ દરમિયાન 40થી 55 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેની ગતિ ઝટકા સાથે વધીને 60થી 65 કિમી/કલાક સુધી પહોંચી શકે છે.
આ સિસ્ટમને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ તેજ રહેશે અને સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી શકે છે.
દરિયામાં સર્જાનારી આ જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના તમામ નાના-મોટા માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા અને સુરક્ષિત કિનારે જ રહેવા કડક તાકીદ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ