જામનગરના બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું
જામનગર, 23 જૂન (હિ.સ.) જામનગરના બેડી સોઢા ફળી વિસ્તારમાં મોહરમની નિયાઝની પ્રસાદી લેવા જેવી સામાન્ય બાબતમાં બાળકો વચ્ચે થયેલી ધકામુક્કીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ સામાન્ય બોલાચાલી બાદ બે પક્ષો આમને-સામને આવી ગયા હતા અને લાકડીઓ તેમજ પથ્થરમારો
બેડી વિસ્તારમાં મારામારી


જામનગર, 23 જૂન (હિ.સ.) જામનગરના બેડી સોઢા ફળી વિસ્તારમાં મોહરમની નિયાઝની પ્રસાદી લેવા જેવી સામાન્ય બાબતમાં બાળકો વચ્ચે થયેલી ધકામુક્કીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ સામાન્ય બોલાચાલી બાદ બે પક્ષો આમને-સામને આવી ગયા હતા અને લાકડીઓ તેમજ પથ્થરમારો થતાં સમગ્ર વિસ્તારમાં તંગદિલી મચી ગઈ હતી. આ ધીંગાણામાં બંને પક્ષના થઈને કુલ પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઘટના અંગે બેડીમરીન પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા સામસામે ગુના નોંધાવવામાં આવ્યા છે.અનવર સંઘાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, તેની દીકરીનો દીકરો (નવાસો) અને સામા પક્ષના દીકરા વચ્ચે નિયાઝની પ્રસાદી લેતી વખતે સામાન્ય ધકામુક્કી થઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખી સામા પક્ષના લોકોએ એકસંપ થઈને હુમલો કર્યો હતો. જેમાં તનવીર ગુલામ જેડા, ઝરીનાબહેન ગુલામ રજાક જેડા, હુશેના જેડા, જુબી જેડા, શકીના જેડા, કાદર ચૌહાણ અને ગુલામ રજાક જેડાએ હુમલો કર્યો હતો. આ લોકો એ અચાનક આવીને ગાળો ભાંડી, ઢીકાપાટુનો માર માર્યો અને પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં અનવર સંઘાર અને તેમના નવાસાને ઈજાઓ પહોંચી છે. સાથે જ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે.બેડીમરીન પોલીસે આ ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા ની તેમજ જી.પી. એક્ટની હેઠળ ગુનો દાખલ કર્યો છે.બીજી તરફ સામા પક્ષના ઝરીના ગુલામ રજાક જેડાએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, મારા દીકરા અને અનવર સંઘારની દીકરી વચ્ચે નિયાઝ દરમિયાન ધકામુક્કી થઈ હતી, જે બાબતે તેઓ માત્ર સમજાવવા ગયા હતા. યાસ્મીન અનવર સંઘાર, અનવર સંઘાર, ફરીદા અનવર સંઘાર અને એજાજ અનવર સંઘારને સમાધાન અને સમજાવટની વાત કરવા જતાં તે ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલી મારપીટ શરૂ કરી હતી. ફરિયાદમાં આક્ષેપ છે કે અનવર સંઘારે લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વળતી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે.મોહરમ જેવા પવિત્ર તહેવાર દરમિયાન બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બેડીમરીન પોલીસ દ્વારા બંને પક્ષની ફરિયાદોના આધારે કાયદેસરની અટકાયત અને આગળની તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande