
ભાવનગર, 23 જૂન (હિ.સ.) ભાવનગર શહેરમાં આગામી 25 અને 26 જૂનના રોજ ઉજવાનાર મહોરમ પર્વને લઈને કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાયેલી આ બેઠક નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણીના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ, તાજિયા કમિટીના પ્રતિનિધિઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનોએ મહોરમ દરમિયાન શહેરમાં નોંધાયેલા આશરે 35 મુખ્ય તાજિયાઓ ઉપરાંત માનતાના તાજિયાઓ પણ જોડાવાના હોવાનું જણાવ્યું હતું. તાજિયાઓના રૂટ પર શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે માર્ગોનું પેચવર્ક, જરૂરી સ્થળોએ પૂરતી લાઈટિંગ વ્યવસ્થા તેમજ અન્ય મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રજૂઆતો કરવામાં આવી હતી.
નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણીએ તાજિયાઓના રૂટ અને કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને 25 અને 26 જૂન દરમિયાન જરૂરી તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તહેવાર દરમિયાન વિવિધ વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે અને કાયદો-વ્યવસ્થા સુચારૂ રીતે જળવાય તે માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ રહેશે.
બેઠકમાં પ્રાંત અધિકારી અક્ષર વ્યાસ, સિટી મામલતદાર કિશન ચાંદલિયા, વિવિધ વિભાગોના અધિકારીઓ, ભાવનગર સેન્ટ્રલ તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ હુસૈનમિયાં બાપુ, ઉપપ્રમુખ રજાક કુરેશી સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને શહેરમાં તાજિયા બનાવતા આગેવાનો હાજર રહ્યા હતા.
મહોરમ પર્વ સૌહાર્દ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે તંત્ર અને સમાજના આગેવાનો વચ્ચે થયેલા આ સંકલનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA