

છોટાઉદેપુર , 23 જૂન (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોના પડતર પ્રશ્નો અને ફરિયાદોનું પારદર્શક તથા સમયબદ્ધ નિવારણ લાવવાના હેતુથી જિલ્લા સેવા સદનના વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાયો હતો.જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો દ્વારા વ્યક્તિગત અને જાહેર હિતને સ્પર્શતા કુલ 30 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
જેમાં જમીનના વળતર ચૂકવવા બાબત, લોન માટેની અરજી મંજૂર બાબત, પેવર બ્લોક નાખવા, ગરીબ પરિવારોને પ્રમાણપત્ર આપી સરકારની યોજનાઓ લાભ આપવા, નલ સે જલમાં પાણી બાબત, પીએમ આવાસ યોજના બાબત, પોલીસ દ્વારા દૂરવ્યવહાર કરવા, આરસીસી રોડ બનાવવા બાબત, ડામર રોડ, સ્મશાન, આંગણવાડી બનાવવા બાબત, પીએમ કિસાન યોજનાઓ લાભ આપવા, બિસ્માર રોડ નવો બનાવવા બાબત, સર્વિસ રોડ બનાવવા બાબત, ટેલિકોમ કંપનીની સર્વિસ બાબતના પ્રશ્નો રજૂ થયા હતા.
કલેકટર ગાર્ગી જૈને તમામ અરજદારોને રૂબરૂ સાંભળી ઉપસ્થિત વિભાગના અધિકારીઓ પાસેથી પ્રશ્નોની વર્તમાન સ્થિતિ વિગતો મેળવી નાગરિકોમાં પ્રશ્નો પર જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેકટર શૈલેશ ગોકલાણી, પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ