
અમદાવાદ,23 જૂન (હિ.સ.) અમદાવાદના રખિયાલ વિસ્તારમાં 22 જૂનની મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની. રખિયાલ વિસ્તારમાં આવેલ અજિત મિલ બ્રિજથી ગરીબનગર તરફ આવતા રોડ પર ચાલુ કારે ચાલકને અચાનક આંચકી (ખેંચ) આવતા બેકાબૂ બનેલી કારે છ જેટલા લોકોની સાથે હોટેલની ટેબલ-ખુરશીને પણ ઉડાવ્યાં હતાં. આ ભયાનક દુર્ઘટનામાં એક એક્ટિવા સવાર યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે અન્ય 6 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં.
પોલીસ તપાસમાંથી મળતી વિગતો અનુસાર, ઓઢવના વિરાટનગર રોડ પર આવેલા શ્રદ્ધા બંગલોમાં રહેતા 40 વર્ષીય મયંકકુમાર દીપક પટેલ પોતાની સફેદ રંગની ટાટા હેરિયર કાર લઈને પસાર થઈ રહ્યા હતા. કારમાં તેમની સાથે પત્ની ડિમ્પલબેન અને દીકરો કર્મ પણ સવાર હતા. રાત્રે અંદાજે 9:40 વાગ્યે અજિત મિલ બ્રિજ ઉતરતી વખતે મયંકકુમારને અચાનક આંચકી (ખેંચ) આવી જતાં તેમણે વાહન પરનો કાબૂ સંપૂર્ણપણે ગુમાવી દીધો હતો.
બેકાબૂ બનેલી આ કારે ગરીબનગર ચાર રસ્તા પાસે સૌપ્રથમ એક ઓટોરિક્ષાને જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ રસ્તા પરથી પસાર થઈ રહેલ ત્રણ એક્ટિવા અને એક બાઈક ચાલકને અડફેટે લીધા હતા. લોકોને કચડ્યા બાદ આ કાર નજીકની એક દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
આ ભયાનક અકસ્માત સર્જાતા જ સમગ્ર વિસ્તારમાં ઘટનાસ્થળે 500થી વધુ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેને પગલે પરિસ્થિતિ ભારે તંગ બની ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા જ સ્થાનિક ધારાસભ્ય દિનેશ કુશવાહ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે 2 એસીપી અને પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ અકસ્માત સ્થળેથી ટોળાને દૂર કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
'H' ડિવિઝન ટ્રાફિક પીઆઈ એચ.વી.ધંધુકિયાએ ઘટના અંગે જણાવ્યું કે, અકસ્માતમાં ભોગ બનેલા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જનાર કારચાલક મયંકકુમાર પટેલ પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની નાજુક તબિયતને કારણે હાલ તેમનું સત્તાવાર નિવેદન લઈ શકાય તેવી સ્થિતિ નથી. આ અંગે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ