
પાટણ, 23 જૂન (હિ.સ.) પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે અંબાલાલ પટેલ સામે ચાલી રહેલા વિરોધને માત્ર પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ગુજરાતના ખેડૂતો, વેપારીઓ અને સીડ્સ એસોસિએશનને હવામાન વિભાગ કરતાં અંબાલાલ પટેલની આગાહીઓ પર વધુ વિશ્વાસ છે.
કિરીટ પટેલે જણાવ્યું કે અંબાલાલ પટેલ વૈજ્ઞાનિક ઢબે આગાહી કરે છે અને તેમાં કોઈ અંધશ્રદ્ધા નથી. તેમની મોટાભાગની આગાહીઓ સાચી પડતી હોવાથી ખેડૂતોને ખેતી અને વાવેતરમાં લાભ મળે છે.
વિરોધ કરનારાઓ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે તેઓ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો તફાવત ભૂલી ગયા છે. હવામાન વિભાગ ટૂંકા ગાળાની આગાહી કરે છે, જ્યારે અંબાલાલ પટેલ અગાઉથી જ મહત્વપૂર્ણ સંકેતો આપી ખેડૂતો અને વેપારીઓને મદદરૂપ બને છે.
ગુજરાત સીડ્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ એન.પી. પટેલે પણ અંબાલાલ પટેલને સમર્થન આપ્યું છે. કિરીટ પટેલે પોતાના સમૂહલગ્નના પ્રસંગનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે અંબાલાલ પટેલની વરસાદ અંગેની આગાહી તે સમયે પણ સચોટ સાબિત થઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ