
જામનગર, 23 જૂન (હિ.સ.) જામનગર જિલ્લામાં આજથી ત્રણ દિવસ સુધી એટલે કે 23,24 અને 25 જુન દરમિયાન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને લાલપુર તાલુકાની વડ પાંચસરા તાલુકા શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં કલેક્ટરે બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવી નિયમિત શાળાએ આવવા અને અભ્યાસ કરી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા પ્રેરક ઉદબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે,શિક્ષણ એ એક એવો દીવો છે જે અજ્ઞાનતાનો અંધકાર દૂર કરે છે. આપણે સૌએ સંકલ્પ લેવો જોઈએ કે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. સરકાર “બેટી બચાવો, બેટી પઢાવો” અને “શાળા પ્રવેશોત્સવ” જેવા કાર્યક્રમો થકી 100% નામાંકન માટે કટિબદ્ધ છે. વાલીઓને પણ બાળકોના શિક્ષણ પ્રત્યે સજાગ રહી બાળકોના ઘડતરમાં સહભાગી થવું જોઈએ.કાર્યક્રમ અંતર્ગત પ્રવેશપાત્ર બાળકો જેમાં આંગણવાડીના 2 , બાલવાટિકાના 11 , અને ધો.1 ના 11 એમ કુલ 24 બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવો દ્વારા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે શાળા પ્રવેશોત્સવનો મુખ્ય ઉદ્દેશ 100% નામાંકન, અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા દરેક બાળકને શિક્ષણની મુખ્ય ધારામાં જોડવાનો છે.કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારીઓ, શાળાના આચાર્ય, બીઆરસી કોર્ડિનેટર, શિક્ષકગણ, ગ્રામ પંચાયતના હોદ્દેદારો, વાલીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt