

પોરબંદર, 24 જૂન (હિ.સ.) પોરબંદર ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ઉજવાઈ રહેલા નશામુક્ત ભારત સપ્તાહ 17 થી 26 જૂન, 2026 ના ભાગરૂપે નશાબંધી અને આબકારી કચેરી, પોરબંદર તથા પોરબંદર એસ.ઓ.જી. પોલીસના સંયુક્ત ઉપક્રમે વી.જે. મોઢા કોલેજ ખાતે વિશાળ નશાબંધી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત કોલેજના પ્રિન્સિપાલ પરેશ સવજાણી દ્વારા મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને નશાબંધી જાગૃતિ કાર્યક્રમના હેતુ વિશે માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા એસ.ઓ.જી. પોરબંદરના પીઆઈ એમ.એન.જાડેજા એ જણાવ્યું હતું કે, “આંતકવાદ બાદ દેશ સામેનું સૌથી મોટું દૂષણ ડ્રગ્સ છે.” તેમણે યુવાનોમાં વધી રહેલા ડ્રગ્સના વ્યસન અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને નશાના કારણે યુવા પેઢી કેવી રીતે બરબાદ થઈ રહી છે તેની વિસ્તૃત માહિતી આપી હતી.
ત્યારબાદ નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક પી.આર. ગોહિલ દ્વારા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન મારફતે વિવિધ પ્રકારના નશીલા પદાર્થો, તેના આરોગ્ય પર પડતા ઘાતક પ્રભાવો તેમજ પરિવાર અને સમાજ પર થતી નકારાત્મક અસરો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા,
પરિવાર અને મિત્રવર્તુળમાં જાગૃતિ ફેલાવવા તથા નશામુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત વિદ્યાર્થીઓએ નશામુક્ત સમાજ, નશામુક્ત ગામ અને નશામુક્ત રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પ લીધો હતો. કાર્યક્રમમાં નશાબંધી સબ ઇન્સ્પેક્ટર બી.એમ.સોલંકી, વી.જે. મોઢા કોલેજના સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya