
કોલકતા, નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.). રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ, પશ્ચિમ બંગાળના હાવડા ગ્રામીણ જિલ્લાના આમતા વિસ્તારમાં વર્ષ 2022માં થયેલા બોમ્બ વિસ્ફોટ કેસમાં બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ વિસ્ફોટમાં બોમ્બ બનાવનાર એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
એનઆઈએએ બુધવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું કે, મંગળવારે રાત્રે આમતા વિસ્તારના રહેવાસી અસફાર મિદ્યા અને એંતાજુલ મિદ્યાની ધરપકડ કરી. આ પહેલા તપાસ એજન્સીએ આરોપીઓના શંકાસ્પદ ઠેકાણાં પર ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા.
તપાસ એજન્સી અનુસાર, બંને આરોપીઓ આ કેસના મુખ્ય આરોપી છે. તેમના નિર્દેશ પર આમતા પોલીસ સ્ટેશન વિસ્તારના ચંદ્રપુર બજાર નજીક 23 ફેબ્રુઆરી 2022 ના રોજ ગેરકાયદેસર રીતે દેશી બોમ્બ તૈયાર કરવામાં આવી રહ્યા હતા.
બોમ્બ બનાવતી વખતે કેટલીક વિસ્ફોટક સામગ્રીમાં ધમાકો થયો હતો. ઘટનામાં જહાધર મોલ્લા, મોહબ્બત મોલ્લા, મોઈનુર રહેમાન અને શેખ મહારામ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં શેખ મહારામે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
એનઆઈએએ એપ્રિલ, 2024 માં પોલીસ પાસેથી આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી હતી. તપાસમાં સામે આવ્યું કે, અસફાર મિદ્યા અને એંતાજુલ મિદ્યા બોમ્બ નિર્માણની સંપૂર્ણ ગતિવિધિને નિયંત્રિત કરી રહ્યા હતા. તપાસ એજન્સી અનુસાર, આ બોમ્બનો ઉપયોગ વિસ્તારના લોકોને ડરાવવા અને આતંકિત કરવાના ઉદ્દેશ્યથી કરવાનો હતો.
આ કેસમાં પહેલાથી જ ચાર આરોપીઓની ધરપકડ કરીને આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીના દિલ્હી સ્થિત કેસ નંબર આરસી-08-2024 હેઠળ તપાસ હજુ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ