
ગાંધીનગર, 24 જૂન (હિ.સ.) : હવે ગુજરાત સરકારે આધાર વગર નહીં મળે સ્ટાઇપેન્ડ-સ્કોલરશિપનો રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓને મળતા લાભોમાં પારદર્શિતા લાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
શ્રમ, વિભાગે બહાર પાડેલા ગેઝેટ જાહેરનામા મુજબ હવે મુખ્યમંત્રી કૌશલ્ય પ્રોત્સાહન યોજના (MKPY) હેઠળની સ્કોલરશિપ તેમજ ક્લસ્ટર બેઝ્ડ લોકલ ઈન્સ્ટિટ્યૂટ્સ ફોર વોકેશનલ એજ્યુકેશન (LIVE) યોજના હેઠળ મળતા સ્ટાઈપેન્ડ માટે આધાર આધારિત ઓળખ ચકાસણી ફરજિયાત બનાવવામાં આવી છે.
સરકારના જણાવ્યા અનુસાર, આધાર નંબર દ્વારા લાભાર્થીઓની ઓળખ સુનિશ્ચિત થતાં સબસિડી, સ્કોલરશિપ અને સ્ટાઇપેન્ડના વિતરણમાં પારદર્શિતા વધશે. ખોટા કે ડુપ્લિકેટ લાભાર્થીઓને અટકાવી શકાશે તેમજ સમગ્ર પ્રક્રિયા વધુ સરળ અને કાર્યક્ષમ બનશે.
નવી જોગવાઈ મુજબ MKPY યોજના હેઠળ સ્કોલરશિપ અથવા LIVE યોજના હેઠળ સ્ટાઈપેન્ડ મેળવવા ઈચ્છુક દરેક લાભાર્થીએ આધાર ઓથેન્ટિકેશન કરાવવું પડશે અથવા આધાર નંબર ધરાવતા હોવાનો પુરાવો રજૂ કરવો પડશે. જેમની પાસે આધાર નંબર ઉપલબ્ધ નથી, તેમણે આધાર નોંધણી માટે અરજી કરવી પડશે.
જાહેરનામામાં સ્પષ્ટ કરાયું છે કે માત્ર આધાર ન હોવાના કારણે કોઈ પણ પાત્ર વિદ્યાર્થી કે તાલીમાર્થીને યોજનાના લાભથી વંચિત રાખી શકાશે નહીં. આવા કિસ્સાઓમાં અન્ય માન્ય ઓળખ દસ્તાવેજોના આધારે ઓળખ ચકાસણી કરીને લાભ આપવામાં આવશે.
બાળકોના મામલે માતા-પિતા અથવા કાનૂની વાલીની સંમતિ સાથે આધાર નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
MKPY યોજના કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત છે, જ્યારે LIVE યોજના ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન (GSDM) દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. બંને યોજનાઓ માટે બહાર પાડવામાં આવેલી આ સૂચનાઓ સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવી ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ