
અમદાવાદ, 25 જૂન (હિ.સ.) : ગુજરાતની મ્યુનિસિપલ કોર્પોરેશનનોમાં ભવ્ય વિજય બાદ એક મહિના પછી નવા મેયર મળ્યા ને આજે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય 11 જેટલી કમિટીઓના સભ્યોની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સામાન્ય સભા મળી હતી.
જેમાં એએમટીએસ કમિટીના ચેરમેન, વોટર સપ્લાય એન્ડ સુએજ, રોડ એન્ડ બિલ્ડીંગ સહિતની 11 વિવિધ કમિટીઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન સહિતના સભ્યોની સત્તાવાર રીતે નિમણૂક કરવામાં આવી હતી.
એએમટીએસ કમિટીના ચેરમેન તરીકે શહેરના પૂર્વ મહામંત્રી પરાગ નાયકને નિયુક્ત કરવામાં આવ્યા છે. વિપક્ષના કોર્પોરેટરોને અન્ય કમિટીઓમાં નિમણૂક આપવા અંગેની માગ દરિયાપુર વોર્ડના કોર્પોરેટર નીરવ બક્ષી દ્વારા માગ કરવામાં આવી હતી.
મેયર હિતેશ બારોટે કહ્યું હતું કે 25 વર્ષ અગાઉ તમે કમિટીઓમાં નિયુક્ત નથી આપી અને એ જ પરંપરા અત્યાર સુધી ચાલી રહી છે. પ્રજાના કામ કોર્પોરેટર બનીને પણ કરી શકાય છે.
આજે સામાન્ય સભા શરૂ થતાની સાથે જ મેયર હિતેશ બારોટ ચાલુ સભામાં વંદે માતરમ ગીત દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગને લઈને ગુસ્સે ભરાયા હતા. તમામ કોર્પોરેટરોને ફોન બંધ કરી દેવા અથવા તો બહાર મૂકીને આવવા માટે ટકોર કરી હતી. સામાન્ય સભાની ગરિમા જાળવવા માટે કોર્પોરેટરોને ટકોર કરવી પડી હતી જેને લઈને સભામાં સોંપો પડી ગયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ