




પોરબંદર, 25 જૂન (હિ.સ.)ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પોરબંદરની સરકારી ભાવસિંહજી હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની ગરીમામયી ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના ઉપસચિવ ક્ષિતિજ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. શાળા પ્રવેશોત્સવ દરમિયાન નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દરેક બાળકનું શાળામાં પડતું પ્રથમ પગલું તેના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો બને છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા જ સમાજ અને રાષ્ટ્રના વિકાસનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા પ્રેરિત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ સરકારી કાર્યક્રમો અને સુવિધાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya