જસદણ તાલુકાના રાણીંગપર, વેરાવળ અને ભાડલા ગામે મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે પ્રવેશોત્સવ 2026ની ઉજવણી
રાજકોટ, 25 જૂન (હિ.સ.) : ‘સુરજ સા ચમકે હમ... સ્કૂલ ચલે હમ...’ના પ્રેરણાદાયી સૂત્ર સાથે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’નો ત્રીજો દિવસ ભારે ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. તાલુકાના રાણીંગપર, વેરાવળ અને ભાડલા ગામે ક
Kunwarji Bawaliya Praveshotsav 2026


રાજકોટ, 25 જૂન (હિ.સ.) : ‘સુરજ સા ચમકે હમ... સ્કૂલ ચલે હમ...’ના પ્રેરણાદાયી સૂત્ર સાથે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’નો ત્રીજો દિવસ ભારે ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. તાલુકાના રાણીંગપર, વેરાવળ અને ભાડલા ગામે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં 'પ્રગતિનો પ્રવેશોત્સવ 2026 અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનો નવો ઉજાસ પાથરવામાં આવ્યો હતો.

આ અવસરે મંત્રી કુંવરજી બાવળીયાએ શાળાના આંગણે પ્રથમ વાર પગ મૂકતા ભૂલકાંઓને શૈક્ષણિક કીટ આપીને ઉષ્માભેર આવકાર્યા હતા. આ સાથે જ, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) દ્વારા તૈયાર કરાયેલી 'સ્ત્રી સશક્તિકરણ' વિષયક પુસ્તિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

મંત્રી કુંવરજી બાવળીયાએ ભાડલા તાલુકા શાળા ખાતે શેડ બનાવવા 5 લાખની ફાળવણી કરી હતી અને નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી આ પરંપરા આજે 23 વર્ષે પણ એટલા જ ઉત્સાહથી અવિરત ચાલી રહી છે. બાળકો શાળામાં પ્રવેશ મેળવ્યા બાદ પોતાનો અભ્યાસ અધવચ્ચે ન છોડે અને ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મેળવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ સહાય-યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશને વિકસિત અને સુસંસ્કૃત બનાવવામાં શિક્ષકોની ભૂમિકા અનન્ય છે. શિક્ષકોના અથાક પ્રયાસોથી જ બાળકોમાં સંસ્કાર, ઉત્તમ ચારિત્ર્ય અને દેશભક્તિનું સિંચન થાય છે.

આ વર્ષે રાણીંગપર ગામ ખાતે આંગણવાડીમાં 17,બાલવાટિકામાં 23 ને ધોરણ 9માં 20 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. વેરાવળ- ભાડલા ગામ ખાતે આંગણવાડીમાં 6 બાલવાટિકામાં 15 દ્યાર્થીઓને પ્રવેશ મેળવ્યો હતો.ભાડલા ગામ ખાતે આંગણવાડીમાં 25 બાલવાટિકામાં 50 વિદ્યાર્થીઓનો પ્રવેશ થયો હતો. આમ, કુલ 260 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો.

કાર્યક્રમ દરમિયાન ત્રણેય શાળામાં તમામ ધોરણમાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત, ‘ખેલ મહાકુંભ’ તેમજ વિવિધ સ્પર્ધાઓ અને સરકારી શૈક્ષણિક યોજનાઓની પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ તકે શાળાના શિક્ષકોએ ઉપસ્થિત વાલીઓ અને ગ્રામજનોને સરકારની વિવિધ શૈક્ષણિક અને કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ રક્ષણ, 'બેટી બચાવો, બેટી પઢાવો' તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજીના મહત્વ પર પ્રભાવશાળી વક્તવ્યો રજૂ કર્યા હતા. ઉપસ્થિત તમામ નાગરિકોએ માર્ગ સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે સામૂહિક શપથ લીધા હતા.

કાર્યક્રમના અંતે પ્રકૃતિના જતન અર્થે શાળા પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ મંત્રીએ શાળાના સ્ટાફ સાથે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં શાળાની શૈક્ષણિક ગુણવત્તા અને કામગીરીનું મૂલ્યાંકન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande