
ભાવનગર, 26 જૂન (હિ.સ.) ભાવનગર જિલ્લાના બગદાણા ગામમાં આવેલા પ્રસિદ્ધ મેલડી માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરોની ચોરીની ઘટના સામે આવતા ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે.એક અજાણ્યો શખ્સ મંદિરનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યો હતો. તેણે સૌપ્રથમ માતાજીને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કર્યા, અગરબત્તી કરી અને ભક્તિનો દેખાવ કર્યો. ત્યારબાદ આસપાસ કોઈ ન હોવાનું નિહાળી માતાજીને ચડાવેલા ચાંદીના સાત છતરો ઉતારી પોતાના ખિસ્સામાં મૂકી ધરાઈ તરફના રસ્તે ફરાર થઈ ગયો હતો.
ચોરીનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે મંદિરના પૂજારી જગદીશભાઈ ગોહીલ નિયમિત આરતી માટે મંદિરે પહોંચ્યા હતા. માતાજીના સ્થાપન પરથી ચાંદીના છતરો ગાયબ હોવાનું જણાતા તેમણે મંદિરના ટ્રસ્ટીઓ અને ગ્રામજનોને જાણ કરી હતી. ત્યારબાદ મંદિરના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા, જેમાં સમગ્ર ઘટના સ્પષ્ટ રીતે કેદ થયેલી જોવા મળી હતી.
સ્થાનિક સ્તરે તસ્કરની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ કોઈ સફળતા મળી નહોતી. અંતે મંદિરના સભ્યોએ બગદાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અંદાજે રૂ.13 હજારની કિંમતના ચાંદીના છતરોની ચોરી અંગે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ તસ્કરની ઓળખ મેળવી તેને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA