
મહેસાણા, 07 જૂન (હિ.સ.)મહેસાણા જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી સીધો પહોંચાડવા માટે 12 થી 20 જૂન દરમિયાન ‘જનકલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ 42 સ્થળોએ યોજાનારી આ શિબિરો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.
શિબિરોમાં કેન્દ્ર સરકારની 15 મહત્વપૂર્ણ યોજનાઓ તેમજ રાજ્ય સરકારની 55થી વધુ યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આયુષ્માન ભારત, આયુષ્માન વય વંદના, પીએમ સૂર્યઘર યોજના, પીએમ સ્વનિધિ યોજના, લખપતિ દીદી સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં નોંધણી અને લાભ વિતરણની કામગીરી હાથ ધરાશે. સાથે જ સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ અંગે પણ લોકોને માહિતી આપવામાં આવશે.
શિબિરોના સફળ આયોજન માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાએ સમિતિઓની રચના કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનો માટે વિશેષ બેઠક વ્યવસ્થા સહિત જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત યોજનાઓ અંગેના બુકલેટ અને પેમ્પલેટનું વિતરણ કરીને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે.
મહેસાણા જિલ્લાના ઊંઝા, વડનગર, ખેરાલુ, વિસનગર, વિજાપુર, કડી, જોટાણા, બેચરાજી સહિતના તાલુકાઓમાં સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી શિબિરો યોજાશે. જિલ્લા વહીવટી તંત્રએ પાત્ર નાગરિકોને શિબિરોનો લાભ લેવા અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR