
મહેસાણા, 10 જુલાઈ (હિ.સ.) હિંમતનગરના એક બેન્ક્વેટ હોલ ખાતે ગઈકાલે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર અને પ્રેરણાદાયી કામગીરી કરનાર પ્રતિભાશાળી વ્યક્તિઓના સન્માન માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી ડો. પ્રધુમન વાજાના અધ્યક્ષસ્થાને વિવિધ ક્ષેત્રના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહ દરમિયાન સમાજસેવા, પર્યાવરણ, શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર અનેક વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઈને પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી અભિયાનમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ વિશેષ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. અનિવાર્ય સંજોગોને કારણે જીતુભાઈ સમારોહમાં હાજર રહી શક્યા નહોતા, તેથી તેમની તરફથી આ સન્માન તેમના મેનેજર ગુપ્તા રાધેભાઈએ સ્વીકાર્યું હતું.
કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ સન્માનિત પ્રતિભાઓના સમાજહિતના કાર્યોને બિરદાવી તેમની કામગીરીને વધુ વેગ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન થતાં આયોજકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR