સુરત સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત 'રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ': ખભાને 'ઉલ્ટો' જોડીને નવી સિવિલના તબીબોએ દર્દીને નવું જીવન આપ્યું
સુરત, 12 જુલાઈ (હિ.સ.) : સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ આરોગ્ય ક્ષેત્રે એક વિરલ સિદ્ધિ મેળવી છે. ડીંડોલીના ૫૦ વર્ષીય દર્દી, જે અકસ્માતને કારણે ખભાના હાડકાં તૂટવા અને વારંવાર ડિસલોકેશનની ગંભીર સમસ્યાથી પીડાતા હતા, તેમને અદ્યતન ''રિવર્સ શોલ્ડર રિ
‘रिवर्स शोल्डर रिप्लेसमेंट


સુરત, 12 જુલાઈ (હિ.સ.) : સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ આરોગ્ય ક્ષેત્રે એક વિરલ સિદ્ધિ મેળવી છે. ડીંડોલીના ૫૦ વર્ષીય દર્દી, જે અકસ્માતને કારણે ખભાના હાડકાં તૂટવા અને વારંવાર ડિસલોકેશનની ગંભીર સમસ્યાથી પીડાતા હતા, તેમને અદ્યતન 'રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ' સર્જરી દ્વારા નવું જીવન આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે સાંધાના ઓપરેશનમાં વપરાતી પરંપરાગત પદ્ધતિથી આ સર્જરી તદ્દન અલગ અને અત્યાધુનિક છે. દક્ષિણ ગુજરાતની કોઈપણ સરકારી હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરી પ્રથમ વખત કરવામાં આવી છે.

સુરત શહેરના ડીંડોલીના યોગેશ્વર નગરના રહેવાસી સંજયભાઈ મહાજન દોઢ વર્ષ પહેલા અકસ્માતનો ભોગ બન્યા હતા. ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા છતાં સમસ્યા દૂર થઈ ન હતી અને રોટેટર કફના સ્નાયુઓ ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા, જેના કારણે હાથ ઊંચો કરવો પણ મુશ્કેલ હતો. આ જટિલ સર્જરી આશરે છ કલાક સુધી ચાલી હતી. આ ઓપરેશનમાં ઓર્થોપેડિક વિભાગના વડા ડો. હરિ મેનન, ડો. નિતિન ચૌધરી, ડો. સ્વપ્નિલ નલગે, ડો. રાહુલ પૂજારા, ડો. ઉત્કર્ષ ભારદ્વાજ અને રેસિડેન્ટ ડોક્ટરોની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

ડો. સ્વપ્નિલ નલગેએ જણાવ્યું હતું કે, દર્દી સંજયભાઈ કાંસકીથી માથું ઓળવું, આલમારીથી વસ્તુઓ લેવી, સ્વિચ બોર્ડની સ્વિચ ઓન કરવી જેવા સામાન્ય કામો કરવામાં પણ મુશ્કેલી અનુભવતા હતા. સિવિલમાં આ દર્દી પર સફળ સર્જરી થતા તેમનો ખાનગી હોસ્પિટલમાં થતો લાખો રૂપિયાનો ખર્ચ બચી ગયો છે. ઘણા દર્દીઓ હાથ કામ કરતો બંધ ન થાય ત્યાં સુધી હોસ્પિટલ આવતા નથી, જેને કારણે અંતે રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ જેવી મોટી સર્જરીની જરૂર પડે છે. ખભાના સ્નાયુઓ ફાટે ત્યારે શરૂઆતના તબક્કામાં દૂરબીન (આર્થ્રોસ્કોપી) દ્વારા તેની સારવાર સરળતાથી થઈ શકે છે.

દર્દી સંજયભાઈ મહાજન દોઢ વર્ષ અગાઉ પડી ગયા હતા, જેના કારણે તેમના ખભાના સ્નાયુઓ (રોટેટર કફ) ફાટી ગયા હતા અને સાથે ફ્રેક્ચર પણ થયું હતું. ખાનગી હોસ્પિટલમાં પ્લાસ્ટર અને ત્યારબાદ અન્ય જગ્યાએ થયેલ ઓપરેશન નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે તેમનો હાથ ઊંચો કરવો અશક્ય બન્યો હતો અને શારીરિક પરેશાની અનુભવી રહ્યા હતા. હારીથાકીને તેઓ આવતા અમે નવી દર્દીને ‘રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ’નો વિકલ્પ સમજાવ્યો હતો.

સિવિલના તબીબી અધિક્ષક ડો. પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી આ પ્રકારની જટિલ સર્જરી શક્ય બની છે. જો દર્દી સમયસર હોસ્પિટલ પહોંચે, તો ઘણીવાર મોટી સર્જરી વગર ઓછા ખર્ચમાં દૂરબીન તકનીક દ્વારા પણ ઈલાજ શક્ય બને છે, દર્દીના પરિવાર પર આર્થિક ભારણ પડતું નથી.

તેમણે કહ્યું કે, કૃત્રિમ ગોળો ગમે તેટલો આધુનિક હોય, પણ કુદરતી સાંધાનું જતન કરવું એ જ સર્વશ્રેષ્ઠ છે. કુદરતી અંગો સાથે છેડછાડ કર્યા વિના સિવિલ હોસ્પિટલમાં હવે આ પ્રકારના જટિલ ઓપરેશન થઈ રહ્યા છે એમ ડો. વડગામાએ કહ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande