




કચ્છ, 10 જુલાઈ (હિ.સ.) : અંજારના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા રાજ્ય સરકાર સતત સક્રિય બની રહી છે. આ દિશામાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ આજે અંજારની મુલાકાત દરમિયાન શહેરના મહત્વપૂર્ણ વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. તેમણે અંજાર બાયપાસ રોડના નિર્માણ કાર્યનું સ્થળ પર નિરીક્ષણ કરીને અધિકારીઓને સમયમર્યાદામાં ઉચ્ચ ગુણવત્તા સાથે કામગીરી પૂર્ણ કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. રાજ્યમંત્રીની મુલાકાતથી વિકાસકાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મુલાકાત દરમિયાન રાજ્યમંત્રીએ, ડી.વી. હાઈસ્કૂલ ખાતે પૂર્વ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી માટે તૈયાર કરવામાં આવી રહેલી વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ નવી કચેરી કાર્યરત બનતા પૂર્વ કચ્છના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને શૈક્ષણિક સંસ્થાઓને વિવિધ કામગીરી માટે લાંબા અંતર સુધી જવાની જરૂરિયાત ઘટશે અને સ્થાનિક સ્તરે જ ઝડપી તથા સરળ વહીવટી સેવાઓ ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રને વધુ સુદૃઢ બનાવવા અને નાગરિકોને સરળ વહીવટી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. વહીવટના વિકેન્દ્રીકરણથી સામાન્ય નાગરિકોના કામો ઝડપથી પૂર્ણ થશે તેમજ શિક્ષણ સંબંધિત પ્રક્રિયાઓમાં પણ વધુ પારદર્શિતા અને સરળતા આવશે.
તેમણે અંજાર બાયપાસ રોડની કામગીરી અંગે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી અને ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનો સમાધાન ન કરવા ભાર મૂક્યો હતો. માર્ગનું કામ સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ સંકલન જાળવવા તેમજ નિર્ધારિત ધોરણો મુજબ કામગીરી કરવાની સૂચના પણ આપી હતી.
આ મુલાકાત દરમિયાન અંજાર નગરપતિ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રીની મુલાકાતને વિકાસલક્ષી આયોજન અને શિક્ષણ ક્ષેત્રે પૂર્વ કચ્છ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar