


- પોલીસ અને એફએસએલ દ્વારા તપાસ શરૂ પીએમ માટે મૃતકની લાશને ભરૂચ સિવિલમાં લવાઈ
ભરૂચ, 10 જુલાઈ (હિ.સ.) : ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, ભરૂચ તાલુકાના કારેલા ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આવેલી એક હોટલની બાજુમાં ઈન્ડિયન ઓઈલ પેટ્રોલપંપના કેમ્પસમાં પાર્ક કરેલી એમ્બ્યુલન્સ કારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં ભરૂચ તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસે ગુનો નોંધી એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા 51 વર્ષીય નરેન્દ્ર ગણેશભાઈ લોઢારી પોતાની કાર નંબર GJ-17-XX-9432 લઈને કારેલા ગામ નજીક આવેલા પેટ્રોલપંપ કેમ્પસમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ કારમાં જ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. નરેન્દ્ર લોઢારી પેટ્રોલ પંપ કેમ્પસમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ પોતાની કારમાં જ રહસ્યમય સંજોગોમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા આ અંગે તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ કાફલો અને એફએસએલ ટીમ સ્થળ પર દોડી ગઈ.ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો દોર શરૂ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જ તે વ્યક્તિનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાનું માલૂમ પડ્યું હતું. મામલો શંકાસ્પદ જણાતાં અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે એફએસએલની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને તેને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલમાં ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુવકના મોતનું ચોક્કસ અને સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ